અમદાવાદના ધારાસભ્યો-સાંસદ સભ્યોની શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ગઈકાલે(25 ઓગસ્ટ) સંકલન સમિતિની બેઠક મળી હતી. ગેરકાદેસર દબાણ અને પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા, કાલુપુર વિસ્તારમાં રેવડી બજાર પાસે ચાલતી કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને માધુપુરા તેમજ દરીયાપુર વિસ્તારમાં રોડ પર ટ્રાફિક સમસ્યા સર્જાતી ગેરકાયદેસર નોનવેજ અને ઈંડાની લારીઓને દૂર કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. ટ્રાફિકની સમસ્યા મુદ્દે ધારાસભ્યોની કમિશનરને રજૂઆત
પોલીસ કમિશનર ઓફિસ ખાતે કમિશનર અનુપમસિંહ ગહેલોતની આગેવાનીમાં તમામ જેસીપી, ડીસીપી અને ટ્રાફિકના ઉચ્ચ પોલીસ પોલીસ અધિકારીઓ સાથે ધારાસભ્યોને સાંસદ સભ્યોની બેઠકમાં મુદ્દાઓ ચર્ચાયા હતા. ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા મુદ્દે ધારાસભ્યોએ વધુ રજૂઆત કરી હતી. કેટલીક જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તેને પણ દૂર કરવા માટે તેમજ પોલીસ દ્વારા કેટલીક જગ્યાએ કરવામાં આવેલી કામગીરીની સરાહના પણ કરી હતી. કૌશિક જૈનની નોનવેજ-ઈંડાની લારીઓ હટાવવાની રજૂઆત
દરીયાપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કૌશિક જૈને રજૂઆત કરી હતી કે, માધુપુરા વિસ્તારમાં દરિયાખાન ઘુમ્મટ પાસે ગેરકાયદેસર નોનવેજ અને ઈંડાની લારીઓ ઉભી રહેતી હોય છે. ત્યારે સંલગ્ન વિભાગ સાથે સંકલન કરી અને તેને દૂર કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. કાલુપુર દરવાજાથી લઈને પ્રેમ દરવાજા સુધી ફ્રુટ માર્કેટ આવેલું છે ત્યાં પણ રોડ ઉપર બંને તરફ ગેરકાયદેસર લારીઓના દબાણો થયેલા છે અને રોડ પર પાર્કિંગ કરવામાં આવે છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા થતી હોવાથી ત્યાં દબાણો દૂર કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે. મિર્ઝાપુરમાં વાહનો ઉભા રહેવાથી ટ્રાફિકની સમસ્યા
મિર્ઝાપુર ત્રણ ખૂણિયા બગીચા નજીક આવેલા પાતાળિયા હનુમાન મંદિરની આસપાસ વાહનોના સર્વિસ સ્ટેશનો હોય છે, જેના કારણે ત્યાં વાહનો ઉભા રહેવાથી ટ્રાફિક થતી હોવાની રજૂઆત કરી હતી. શાહપુર વિસ્તારમાં સરકારી એ કોલોનીથી લઈને રિવરફ્રન્ટ સુધીના રોડ ઉપર બિન ઉપયોગી બંધ વાહનો પડી રહે છે, જેથી રોડ પર અવરોધ ઊભો થાય છે અને અસામાજિક પ્રવૃત્તિઓ પણ થતી હોય ત્યારે તેને દૂર કરવા જણાવ્યું હતું. શાંતિ સમિતિની ટીમ બદલવા અમિત ઠાકરની રજૂઆત
અમિત ઠાકરે રજૂઆત કરી હતી કે, વેજલપુર બુટ ભવાની મંદિર પાસે બ્રિજની કામગીરી ચાલી રહી છે અને ફાટક બંધ કરવામાં આવનાર છે ત્યારે તેનો વૈકલ્પિક માર્ગ શોધવા માટે યોગ્ય ડાયવર્ઝન અને પોલીસ અથવા ટ્રાફિક બ્રિગેડની ટીમ ઉપસ્થિત રાખી ટ્રાફિકનું સંકલન કરવા કરવામાં. સ્થાનિક પોલીસ મથકમાં શાંતિ સમિતિની ટીમ બદલવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. જુહાપુરામાં અલબુર્ઝ ચાર રસ્તા પાસે સરખેજ પોલીસ સ્ટેશન બનાવવામાં આવનાર છે. જેની પણ કામગીરી ઝડપી કરવા માટે તેમણે રજૂઆત કરી હતી. જ્યાં વધારે ટ્રાફિક થાય છે તેનો સર્વે કરી અને ત્યાં વધુમાં વધુ ટ્રાફિક પોઇન્ટ મૂકવા જોઈએ તેને લઈને પણ રજૂઆત કરવામાં આવી હતી. નશાકારક પ્રવૃત્તિઓ બંધ કરાવા દિનેશ કુશવાહની રજૂઆત
ગોમતીપુરમાં કફ સીરપનું વેચાણ વધારે થતું હોવાના કારણે ત્યાં વધારે ધ્યાન આપી અને તેને બંધ કરાવવા અંગેની ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહએ રજૂઆત કરી હતી. નશાકારક પ્રવૃત્તિઓ ગોમતીપુર વિસ્તારમાં વધુ થઈ રહી છે અને તેને લેવા માટે લાઈનો લાગતી હોય છે ત્યારે આ વિસ્તારમાં પ્રવૃત્તિઓને બંધ કરાવવા માટે થઈને ધારાસભ્ય જાણ કરવી પડી હતી. ગોમતીપુર વિસ્તારમાં અગાઉ પણ નેતાઓ દ્વારા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરવામાં આવ્યા છે, ત્યારે ફરી એકવાર ભાજપના ધારાસભ્યે પણ નશાકારક પ્રવૃત્તિઓ ચાલતીને લઈને સવાલ ઉભા કરતા પોલીસની કામગીરી પર શંકા ઉભી થઈ છે. આ ધારાસભ્યો હાજર રહ્યા હતા
સંકલન સમિતિની બેઠકમાં માત્ર ભાજપના જ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, નારણપુરાના જિતુ ભગત, એલિસબ્રિજના અમિત શાહ, દરિયાપુરના કૌશિક જૈન, મણિનગરના અમૂલ ભટ્ટ, ઠક્કરબાપાનગરના કંચનબેન રાદડિયા, બાપુનગરના દિનેશ કુશવાહ, અમરાઈવાડીના ડો. હસમુખ પટેલ અને સાંસદ દિનેશ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. ખેડાવાલા અને ભાજપના 5 MLA ના આવ્યા
કોંગ્રેસના જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર હાજર રહ્યા નહોતા. જ્યારે ભાજપના નરોડાના ધારાસભ્ય ડોક્ટર પાયલ કુકરાણી, વટવાના બાબુસિંહ જાદવ, સાબરમતીના ડો. હર્ષદ પટેલ, ગાંધીનગર દક્ષિણના અલ્પેશ ઠાકોર અને ધારાસભ્ય બાબુ ભાઈ જમનાભાઈ પટેલ હાજર રહ્યા નહોતા.
ભાજપના ધારાસભ્યોના ટ્રાફિક મુદ્દે કમિશનરને ઉપરાઉપરી પ્રશ્રો:કહ્યું-રોડ પરની ગેરકાયદે નોનવેજ-ઈંડાની લારીઓ દૂર કરો, કાલુપુર રેવડી બજાર પાસે શંકાસ્પદ પ્રવૃત્તિ બંધ કરાવો
📅 Published: August 25, 2026 |
📂 Category: gujarati-news
