અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી નટરાજ સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઓછી હાજરી તેમજ શિક્ષકોના સેવા વિષયક લાભો અટકાવી રાખ્યા હોવાનું સામે આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓની ખોટી હાજરી પૂરવા શિક્ષકો પર દબાણ કરવામાં આવતું હોવાનું પણ સામે આવતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાને નોટિસ આપી હતી. છતાં યોગ્ય જવાબ રજૂ ન કરી શકતા શાળાની માન્યતા રદ કરાશે અને 100 ટકા ગ્રાન્ટ કાપ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જે માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ વડી કચેરીમાં રિપોર્ટ મોકલી આપ્યો છે. વિદ્યાર્થીઓની ઓછી હાજરી ઓછા હોવા છતાં ખોટી હાજરી પુરાતી
ડમી સ્કૂલોને લઈને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળાઓમાં તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન ઓઢવમાં આવેલી નટરાજ સ્કૂલમાં તપાસ કરતા વિદ્યાર્થીઓની ઓછી હાજરી ઓછા હોવા છતાં ખોટી હાજરી ભરાતી હોવાનું સામે આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ શાળાએ ન આવતા હોવા છતાં ઓનલાઈન ખોટી હાજરી પૂરવા શિક્ષકો પર દબાણ કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું હતું. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની ટીમની સરપ્રાઈઝ ચેકિંગમાં બે વખત વિદ્યાર્થીઓની 50 ટકા ઓછી હાજરી જોવા મળી હતી. શાળાની માન્યતા રદ કરવા અને 100 ટકા ગ્રાન્ટ કાપની કાર્યવાહીની ભલામણ
તેમજ શાળા સંચાલક દ્વારા શિક્ષકો પર ખોટી હાજરી પૂરવા દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ શિક્ષકોએ જ જિલ્લા શિક્ષણાધિકારીને કરી હતી. તેમજ શાળા દ્વારા સત્તાનો દુરુપયોગ કરી સેવા વિષયક લાભોની દરખાસ્ત પણ દવાવી રાખવામાં આવી હોવાનું સામે આવતા શિક્ષણ નિરીક્ષક દ્વારા તપાસ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. જેના આધારે હવે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાની માન્યતા રદ કરવા અને 100 ટકા ગ્રાન્ટ કાપની કાર્યવાહી કરવા માટે વડી કચેરીમાં ભલામણ કરી છે. તેમજ સેવા વિષયક લાભો કેમ અટકાવી રાખ્યા તેના યોગ્ય આધાર પુરાવા સાથે જવાબ રજૂ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. 11 વર્ગો તાત્કાલિક બંધ કરવાનો શિક્ષણાધિકારીનો નિર્ણય
શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ઓઢવ વિસ્તારમાં આવેલી નટરાજ સ્કૂલને ગયા વર્ષે પણ ત્રણ વખત સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા 50 ટકા જેટલી ઓછી જોવા મળી હતી. તેમજ હાજરી બતાવવામાં આવી હોવા છતાં વિદ્યાર્થીઓ ગેરહાજર જોવા મળ્યા હતા. તેને ધ્યાને લઈ ચાલુ વર્ષે પણ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં પણ વિદ્યાર્થીઓની 50 ટકા જ હાજરી જોવા મળી હતી. જેથી 11 જેટલા વર્ગો તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેને ધ્યાને લઈ શાળા દ્વારા કમિશનર ઓફ સ્કૂલમાં દરખાસ્ત કરી હતી. જેનો હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. ત્રણ ત્રણ વખત નોટિસ, ઉદાસીનતા દાખવી ફાઈલો અટકાવી
વધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, તેમજ શાળા દ્વારા સેવા વિષયક લાભો માટે પણ વિલંબ કરેલો હોવાનું સામે આવ્યું છે. 5 વર્ષ પૂરા પગારના હુકમ હોય કે પછી 9 વર્ષનું ઉચ્ચતર પગાર ધોરણ હોય તેમાં પણ સમય અવધી પૂરી થઈ ગઈ હોવા છતાં શાળાએ ઉદાસીનતા દાખવી ફાઈલો અટકાવી રાખી હતી. શિક્ષકો સામે કાર્યવાહી કરવાની છે તેવું કારણ આગળ કર્યું હતું. શાળા દોષિત હોવાનું પ્રથમ દ્રષ્ટિએ ધ્યાને આવતા ત્રણ ત્રણ વખત નોટિસ આપવામાં આવી છે. જેથી 100 ટકા ગ્રાન્ટ કાપ કરીને તેની માન્યતા રદ કરવા પણ રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે. સેવા વિષયક લાભો તાત્કાલિક આપવા શાળાને સૂચના આપવામાં આવી છે. જેથી હવે શાળાને તાત્કાલિક બંધ કરવા માટે વડી કચેરીમાં રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે. જે બાદ બંને પક્ષની રજૂઆત સાંભળવામાં આવી છે જેથી આગામી સમયમાં તેને લઈને યોગ્ય નિર્ણય પણ લેવામાં આવશે.
ઓઢવની નટરાજ સ્કૂલની માન્યતા રદ કરવા DEOએ સરકારને રિપોર્ટ સોંપ્યો:50% વિદ્યાર્થીઓની ખોટી હાજરી પૂરવા શિક્ષકો પર દબાણ કરાતું, શાળાની માન્યતા રદ કરવા DEOની ભલામણ
📅 Published: August 26, 2026 |
📂 Category: gujarati-news
