બીલીમોરાની શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય ખાતે 24 ઓગસ્ટ, 2026ના રોજ નર્મદ જયંતિ અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બીલીમોરા વિભાગ કેળવણી મંડળના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ વર્ષે કાર્યક્રમ માટે “મારી ગુજરાતી – મારી ઓળખ” તથા “એક ભાષા, અનેક લાગણીઓ” વિષય પસંદ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ “વૈષ્ણવજન તો” પ્રાર્થનાથી થયો હતો. તાલીમાર્થી રાઠોડ શ્રેયાએ કવિ નર્મદના જીવન અને સાહિત્યિક યોગદાનનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા “ગુજરાતી ભાષાની અદાલત” નાટક, “ગુજરાતી ભાષાનો આજના યુવાનને પત્ર” અને “શબ્દોમાં ગુજરાતી… ગુજરાતીમાં લાગણી!” જેવી સર્જનાત્મક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, તાલીમાર્થી બહેનોએ “માતા છે ગુજરાતની ધરતી…” સમૂહગીત અને PPT આધારિત ગુજરાતી પ્રશ્નમંજુષા (ક્વિઝ) પણ રજૂ કરી હતી.વક્તવ્ય આપતાં ડૉ. શીતલબેન વસાવાએ કવિ નર્મદના જીવનપ્રસંગો વર્ણવી તેમને “ગદ્યના પિતા” અને “અર્વાચીનોમાં આદ્ય” તરીકે શા માટે બિરદાવવામાં આવે છે તેની વિગતવાર સમજૂતી આપી હતી. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. કલ્પેશભાઈ ટંડેલે ઉપસ્થિત સૌને માતૃભાષા પ્રત્યે ગૌરવ રાખવા અને દૈનિક જીવનમાં ગુજરાતીનો વધુ ઉપયોગ કરવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના ઉત્તરાર્ધમાં “સંકલ્પ સેતુ” અંતર્ગત ઉપસ્થિત સૌએ માતૃભાષા ગુજરાતીના જતન અને સંવર્ધન માટે દ્રઢ સંકલ્પો લીધા હતા.આ કાર્યક્રમમાં બીલીમોરા વિભાગ કેળવણી મંડળના મેનેજિંગ કમિટીના અધ્યક્ષ ભરતભાઈ અમીન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નરેશભાઈ નેમાણી અને મંત્રી ઉદયભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંડળના તમામ પદાધિકારીઓએ કાર્યક્રમની સફળતા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન ઇન્ચાર્જ આચાર્ય ડૉ. કલ્પેશભાઈ ટંડેલનું રહ્યું હતું અને આયોજન સંયોજક ડૉ. શીતલબેન વસાવાની દેખરેખ હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ કરવામાં આવી હતી.
બીલીમોરા શ્રીરંગ મહાવિદ્યાલયમાં માતૃભાષા દિવસ ઉજવાયો:બીકે મંડળના ચેરમેન નરેશ નેમાણી, મંત્રી ઉદય પટેલની ઉપસ્થિતિ
📅 Published: August 26, 2026 |
📂 Category: gujarati-news
