'મમ્મી બહુ તકલીફમાં છું, મન કરે છે સુસાઈડ કરી લઉં':સુરતમાં ભાજપ નેતાની પુત્રવધૂએ આપઘાતની 10 મિનિટ પહેલા સાસુને કોલ કર્યો, ભાસ્કર પાસે એક્સક્લુઝિવ ઓડિયો

📅 Published: August 26, 2026 | 📂 Category: gujarati-news

સુરત જિલ્લાના કડોદરા ખાતે ભાજપનાં પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ શશી સિંઘની પુત્રવધૂ નિધિ રાજપૂતે આંતરવસ્ત્રોમાં સુસાઇડ નોટ છૂપાવી આપઘાત કરી લીધો હતો. નિધિએ આપઘાત પહેલાં માત્ર 10 મિનિટ તેના સાસુ સાથે છેલ્લી વાતચીત કરી હતી, જેની ઓડિયો ક્લિપ સામે આવી છે. આ ઓડિયોમાં નિધિ ભારે માનસિક યાતના અને પીડામાં હોવાનું સ્પષ્ટ સંભળાય છે. સમગ્ર મામલે નિધિના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. બીજી તરફ પોલીસે આરોપી પતિ સૌરભસિંહની અટકાયત કરી છે. ‘હું ઢોસા લેવા ગઈ ને કૉલ આવ્યો’: સાસુનો ખુલાસો
સમગ્ર મામલે સાસુ શશી સિંઘે જણાવ્યું હતું કે, નિધિને ઢોસા ખાવાનું મન થયું હતું, જેથી હું બજારમાં તેના માટે ઢોસા ખરીદવા ગઈ હતી. આ દરમિયાન અચાનક તેનો કોલ આવ્યો અને તેણે પહેલીવાર મને કહ્યું કે તેને આપઘાત કરવાની ઈચ્છા થઈ રહી છે. મેં તેને સમજાવીને મન શાંત રાખી ભગવાનનું નામ લેવા કહ્યું હતું અને હું તુરંત ઘરે આવી રહી હોવાનું જણાવ્યું હતું. મારા પુત્રના કોઈ પ્રેમ સંબંધ વિશે નિધિએ મને અગાઉ ક્યારેય કોઈ વાત કરી નહોતી. આરોપી પતિ સૌરભસિંહની પોલીસે કરી અટકાયત
નિધિના મોત બાદ કડોદરા પોલીસે પતિ સૌરભસિંહ અને તેની પ્રેમિકા વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે. પોલીસે મુખ્ય આરોપી સૌરભસિંહની અટકાયત કરી છે. પતિના અનૈતિક સંબંધો તેમજ તે પરિણીતાને કેવી રીતે ત્રાસ આપતો હતો તે દિશામાં ઊંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરી છે. આ પણ વાંચો: ‘પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધો હવે સહન થતા નથી’ કંઈક છુપાવવાનો પ્રયાસ થયો છે: આદિત્ય
બીજી તરફ, મૃતક નિધિના ભાઈ આદિત્ય રાજપૂતે આ કેસમાં ગંભીર ષડયંત્રની આશંકા વ્યક્ત કરી છે. આદિત્યએ આક્ષેપ કર્યો છે કે 1.5 પાનાની જે સુસાઇડ નોટ મળી આવી છે તે નિધિએ લખી જ નથી. નિધિને અંગ્રેજી ભાષાનું જ્ઞાન નહોતું, જ્યારે આ આખી નોટ અંગ્રેજી અક્ષરોમાં (રોમન સ્ક્રિપ્ટમાં હિન્દી) લખવામાં આવી છે. આદિત્યના જણાવ્યા મુજબ, સુસાઇડ નોટનું લખાણ શંકાસ્પદ છે અને તેમાં કંઈક છુપાવવાનો પ્રયાસ થયો છે. આપઘાત પહેલા બહેનને કોલ અને ટેક્સ મેસેજ કર્યો
ભાઈ આદિત્યએ વધુમાં જણાવ્યું હતું કે, આપઘાત પહેલાં નિધિએ પોતાની બહેનને પણ ફોન કરીને કહ્યું હતું કે હવે તેને જીવવાની કોઈ ઈચ્છા રહી નથી એટલું કહીને કોલ કટ કરી દીધો હતો. બહેને ચિંતિત થઈને ફરી કોલ કર્યો ત્યારે નિધિએ ફોન ઉપાડ્યો નહોતો, પરંતુ થોડી વાર બાદ મોબાઈલમાંથી 1 ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો કે ‘બધું જ ઠીક છે’. આ મેસેજ બાદ નિધિએ અંતિમ પગલું ભરી લેતાં સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *