મોરબીમાં તંત્રની ઘોર બેદરકારી:લાલપર પાસે હાઈવેના ડિવાઈડરમાં ખુલ્લા અને ચાલુ વીજ વાયર, વાહનચાલક માટે જોખમ

📅 Published: August 26, 2026 | 📂 Category: gujarati-news

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર ગામ પાસે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. હાઈવેના ડિવાઈડરમાં સ્ટ્રીટ લાઈટ માટે નાખવામાં આવેલા વીજ વાયર ખુલ્લા પડ્યા છે અને તેમાં હજુ પણ વીજ પ્રવાહ ચાલુ હોવાનું સામે આવ્યું છે. આવી સ્થિતિ કોઈપણ સમયે રાહદારી કે વાહનચાલક માટે જીવલેણ સાબિત થઈ શકે છે. જાગૃત નાગરિકે ટેસ્ટરથી કરી તપાસ
સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા આ ખુલ્લા પડેલા વીજ વાયરોમાં વીજ પ્રવાહ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. ટેસ્ટર લગાવતા વાયર ચાલુ હોવાનું સ્પષ્ટ થયું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જવાબદાર તંત્રની કામગીરી સામે સવાલો
વીજ વાયર ખુલ્લા પડ્યા હોવા છતાં હાઈવે ઓથોરિટી કે અન્ય જવાબદાર તંત્ર દ્વારા તેને હટાવવા અથવા વીજ પ્રવાહ બંધ કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ચેકિંગ કે સમારકામની કામગીરી હાથ ધરવામાં ન આવતા અનેક સવાલો ઊભા થયા છે. દુર્ઘટના બને તે પહેલાં કાર્યવાહી કરવાની માંગ
સ્થાનિક લોકોનું કહેવું છે કે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તે પહેલાં જવાબદાર અધિકારીઓએ તાત્કાલિક સ્થળની તપાસ કરાવી ખુલ્લા વીજ વાયરોને સુરક્ષિત કરવા જોઈએ. જો તંત્રની આ બેદરકારીને કારણે કોઈ જાનહાનિ થાય તો જવાબદારી કોની રહેશે તેવો સવાલ ઊભો ન થાય, તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *