સુરત જિલ્લાના કડોદરા-બારડોલી રોડ વિસ્તારમાં આવેલી શ્રીનિવાસ ગ્રીનસિટી સોસાયટીમાં એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે. જ્યાં રહેતા સ્થાનિક ભાજપના મહિલા આગેવાનના પુત્રની 24 વર્ષીય પત્ની નિધિકુમારીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. લગ્નજીવનના માત્ર 2 જ વર્ષના ટૂંકાગાળામાં પરિણિતાએ અંતિમ પગલું ભરી લેતા કડોદરા પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોસ્ટ મોર્ટમ દરમિયાન આંતરવસ્ત્રમાંથી મળી 2 પાનાની સ્યુસાઈડ નોટ
આત્મહત્યાની આ ઘટનામાં સૌથી ચોંકાવનારો મોડ ત્યારે આવ્યો જ્યારે મૃતદેહના પેનલ પોસ્ટ મોર્ટમ દરમિયાન તબીબોને પરિણિતાના આંતરવસ્ત્રમાંથી છુપાવેલી 2 પાનાની વિસ્તૃત સ્યુસાઈડ નોટ મળી આવી હતી. તબીબોએ ત્વરિત આ ચિઠ્ઠી કડોદરા પોલીસને સોંપી હતી. સ્યુસાઈડ નોટમાં નિધિકુમારીએ પોતાના પતિના અન્ય મહિલા સાથેના અનૈતિક સંબંધો અને તેના કારણે સતત અપાતા માનસિક ત્રાસનો ગંભીર ઉલ્લેખ કર્યો હતો.
‘પતિ-પત્ની ઓર વો’ ના ચક્કરમાં સંસાર હોમાયો
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલા તારણ મુજબ, નિધિકુમારીના લગ્ન 2 વર્ષ પૂર્વે સૌરભકુમાર સાથે થયા હતા. જોકે, સૌરભસિંગના ઈશિકા બેનરજી નામની મહિલા સાથે પ્રેમસંબંધો ચાલી રહ્યા હતા. પતિના આ અફેર અંગે જાણ થતાં જ બંને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ભારે કંકાશ અને ઝઘડા થતા હતા. પતિના અન્ય મહિલા સાથેના સંબંધો અને માનસિક ત્રાસથી કંટાળીને આખરે નિધિકુમારીએ જિંદગી ટૂંકાવી લીધી હતી.

કડોદરા પોલીસે ગણતરીના કલાકોમાં પતિ અને પ્રેમિકાને જેલભેગા કર્યા
સ્યુસાઈડ નોટમાં થયેલા ખુલાસા અને મળેલા પુરાવાઓના આધારે કડોદરા પોલીસે ત્વરિત અને કડક કાર્યવાહી કરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ પરિણિતાને આત્મહત્યા માટે મજબૂર કરનાર પતિ સૌરભસિંગ તેમજ તેની પ્રેમિકા ઈશિકા બેનરજીની વિધિવત ધરપકડ કરી લીધી છે. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો – Surat News: ભાજપ આગેવાનની પુત્રવધૂએ કરી આત્મહત્યા, પોસ્ટ મોર્ટમ દરમિયાન આંતરવસ્ત્રમાંથી સ્યુસાઈડ નોટ મળી
