ભાવનગરના ચર્ચિત લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે, જેમાં આ ઘટનાનું કનેક્શન છેક દિલ્હી સુધી પહોંચ્યું છે. ઝેરી દારૂ બનાવવામાં વપરાતા મિથેનોલ કેમિકલના સપ્લાયર્સ પર શિકંજો કસતાં SMCએ દિલ્હીથી વધુ 3 આરોપીઓની અટકાયત કરી છે. આ નવી ધરપકડો સાથે જ ભાવનગર લઠ્ઠાકાંડના ગંભીર કેસમાં અત્યાર સુધીમાં જેલભેગા કરાયેલા આરોપીઓનો કુલ આંકડો 31 પર પહોંચી ગયો છે.
મિથેનોલ સપ્લાય કરનાર દિલ્હીના 3 આરોપીઓની ઓળખ છતી થઈ
SMCની ઝીણવટભરી તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે દિલ્હીના રહેવાસી પ્રમોદકુમાર બુડાકોટી, કેશવ જાટવ અને રોહિત પ્રધાન નામના ત્રણ શખ્સોએ આ લઠ્ઠાકાંડ માટે જવાબદાર ઝેરી મિથેનોલ સપ્લાય કર્યું હતું. આ ત્રણેય આરોપીઓએ ગેરકાયદેસર રીતે મિથેનોલનો મોટા પ્રમાણમાં જથ્થો ગુજરાત સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. SMCની ટીમે તમામ ટેકનિકલ અને બાતમી આધારિત પુરાવાઓ એકત્ર કરીને દિલ્હી ખાતેથી આ ત્રણેય મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
દિલ્હીથી ત્રણેય આરોપીઓને ગુજરાત લાવવાની તજવીજ શરૂ
દિલ્હી ખાતેથી ઝડપાયેલા પ્રમોદકુમાર, કેશવ અને રોહિતને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને તાત્કાલિક ધોરણે ગુજરાત લાવવાની કવાયત SMC દ્વારા હાથ ધરવામાં આવી છે. ગુજરાત લાવ્યા બાદ આ ત્રણેય આરોપીઓના કોર્ટમાંથી રિમાન્ડ મેળવીને લઠ્ઠાકાંડમાં મિથેનોલના આંતરરાજ્ય સપ્લાય નેટવર્ક, નાણાકીય લેવડદેવડ તેમજ આ કાળો કારોબાર ચલાવતા અન્ય કયા-કયા શખ્સો સામેલ છે તે અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે.
આ પણ વાંચો : Ananad News : ખંભાતના કલમસરમાં રોહન ડાઇઝ કંપની બહાર પોલીસનો લાઠીચાર્જ, પથ્થરમારો થતાં મામલો ગરમાયો
