વલસાડના માછીમારોએ નાળિયેરી પૂનમે નવી સીઝન શરૂ કરી:ડીઝલના ભાવ અને જેટીના પ્રશ્ને ચિંતા વ્યક્ત કરી, એક સક્ષમ બંદર બનાવવાની માગ દોહરાવી

📅 Published: August 28, 2026 | 📂 Category: gujarati-news

વલસાડના માછીમારોએ નાળિયેરી પૂનમ (રક્ષાબંધન)ના પવિત્ર પર્વે દરિયાદેવની પૂજા-અર્ચના કરીને માછીમારીની નવી સીઝનનો વિધિવત પ્રારંભ કર્યો છે. આ પ્રસંગે માછીમારોએ દરિયામાં શ્રીફળ પધરાવીને આગામી વર્ષ માટે આશીર્વાદ અને સાથ-સહકારની પ્રાર્થના કરી હતી. જોકે, નવી સીઝનની શરૂઆત સાથે જ માછીમારોએ ડીઝલના વધતા ભાવ અને જેટીના પ્રશ્નો અંગે ચિંતા વ્યક્ત કરી છે. માછીમાર અગ્રણી મગન ટંડેલે જણાવ્યું હતું કે, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને કારણે તેમના વ્યવસાય સામે વિકટ પડકારો ઊભા થયા છે. રશિયા-યુક્રેન અને ઇઝરાયેલ-ઇરાન જેવા દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધોને કારણે વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. ડીઝલના ભાવ આસમાને પહોંચી જતાં માછીમારો માટે બોટ ચલાવીને આજીવિકા રળવી મુશ્કેલ બની રહી છે. મગન ટંડેલે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર સાથે સંકલન કરીને સોસાયટીઓ અને પ્રાઇવેટ ડીઝલના ભાવમાં સંતુલન જાળવ્યું છે અને સબસિડી પણ મળી રહે છે. પરંતુ જ્યારે માછીમારો આજીવિકા માટે મહારાષ્ટ્ર તરફ જાય છે, ત્યારે ત્યાં આ પ્રશ્ન હજુ ઉકેલાયો નથી. મહારાષ્ટ્રમાં સોસાયટીઓમાં ડીઝલ ₹138 પ્રતિ લીટર સુધી પહોંચી ગયું છે, જેના કારણે માછીમારો ભારે આર્થિક બોજ હેઠળ દબાઈ રહ્યા છે. આ ઉપરાંત, વલસાડના માછીમારોની વર્ષો જૂની માંગણી છે કે વલસાડમાં એક સારું અને સક્ષમ બંદર (હાર્બર) બનાવવામાં આવે. કોસંબા નવી બાવરી ખાતે આવેલી જૂની જેટી તાજેતરમાં આવેલા મહાપૂરમાં નમી ગઈ છે અને તેને ભારે નુકસાન થયું છે. માછીમારોએ આ ડેમેજ થયેલી જેટીનું વહેલી તકે મરામત અને વિસ્તરણ (એક્સટેન્શન) કરવાની માંગ કરી છે. સ્થાનિક ધારાસભ્યએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને જેટીના મરામત માટે ગ્રાન્ટ પણ મંજૂર થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. માછીમારોની માંગણી
સરકાર વહેલી તકે આ જેટીનું સમારકામ કરાવે અને બંને બાજુ જેટીનું એક્સ્ટેન્શન (વિસ્તાર) કરે, જેથી આશરે 100થી 200 જેટલી બોટો સરળતાથી લાગી શકે. જો વલસાડમાં જ યોગ્ય બંદર અને સુવિધા મળી જાય તો માછીમારોને આજીવિકા માટે મહારાષ્ટ્ર કે અન્ય રાજ્યોમાં જવું ન પડે. માછીમાર અગ્રણી મગન ટંડેલે કહ્યું કે, નાળિયેરી પૂનમ એ અમારા માટે સૌથી મોટો દિવસ છે. અમે દરિયાદેવને પગે લાગીને સીઝન શરૂ કરી છે. પરંતુ ડીઝલના વધતા ભાવ અને જેટીની ખરાબ હાલતથી ધંધો કરવો મુશ્કેલ બન્યો છે. સરકાર વહેલી તકે જેટીનું કામ પૂરું કરે તો વલસાડના 200 જેટલા બોટ ધારકો પોતાના ઘરઆંગણે જ રોજગારી મેળવી શકશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *