વાંસોજ રોડ પર પાંચ ફૂટનો અજગર દેખાયો:જસાધાર વન વિભાગે સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું

📅 Published: August 29, 2026 | 📂 Category: gujarati-news

ઉના તાલુકાના વાંસોજ-અહેમદપુર માંડવી રોડ પર આવેલા એક નાળા નજીક શુક્રવારે મોડી રાત્રે પાંચ ફૂટથી વધુ લાંબો અજગર જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. રોડ નજીક અજગર દેખાતા રાહદારીઓ, વાહનચાલકો અને આસપાસના લોકોનું ધ્યાન ખેંચાયું હતું. લોકોમાં અજગરને જોવા માટે કુતૂહલ પણ જોવા મળ્યું હતું. સ્થાનિકોએ તાત્કાલિક જસાધાર વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. વનકર્મીઓએ સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી અજગરને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો હતો. વન વિભાગની ટીમે અજગરને પકડી લીધા બાદ તેને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. રોડ નજીક અજગરની હાજરીને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વનકર્મીઓએ જરૂરી તકેદારી રાખી હતી. ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝનમાં ગીર પંથકમાં હરિયાળી વધતા વિવિધ વન્યજીવો અને સરીસૃપોની અવરજવર પણ જોવા મળે છે. આને કારણે ઘણી વખત વન્યજીવો રસ્તાઓ, ખેતરો કે રહેણાંક વિસ્તારો નજીક દેખાય છે. આવા સમયે લોકોમાં ભય ફેલાવવાને બદલે સાવચેતી રાખવી જરૂરી છે. અજગર કે અન્ય કોઈ વન્યજીવ દેખાય તો તેને પકડવાનો કે હેરાન કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ, પરંતુ તાત્કાલિક વન વિભાગને જાણ કરવી હિતાવહ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *