સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વડેખણ ગામ ખાતે શિક્ષણ અને બાલમંદિર સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લખતર-દસાડા વિસ્તારના ધારાસભ્યના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ગામમાં નવીન પ્રાથમિક શાળાનું ખાતમૂહૂર્ત તથા નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ સંપન્ન થયું હતું.
આધુનિક સુવિધાઓથી સજ્જ બનશે વડેખણની નવી પ્રાથમિક શાળા
વડેખણ ગામે રૂ. 1.18 કરોડના મસમોટા ખર્ચે નવી પ્રાથમિક શાળા આકાર લેવા જઈ રહી છે. આ આધુનિક શાળામાં વિદ્યાર્થીઓ માટે 5 સુસજ્જ વર્ગખંડો, ફરતે સુરક્ષા માટે કમ્પાઉન્ડ વોલ તેમજ મધ્યાહ્ન ભોજન યોજના માટે અલગથી સ્પેશિયલ રૂમનું નિર્માણ કરવામાં આવશે. આ શાળાને તમામ પ્રકારની આધુનિક શૈક્ષણિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે, જેથી ગ્રામીણ વિસ્તારના બાળકોને ઉત્કૃષ્ટ શિક્ષણ મળી રહે.

ભાજપના અગ્રણીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
આ લોકાર્પણ અને ખાતમૂહૂર્તના પ્રસંગે જિલ્લા અને તાલુકાના વિવિધ રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન અજયસિંહ રાણા, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દશરથસિંહ રાણા, પૂર્વ મહામંત્રી જયેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ક્રિપાલસિંહ રાણા, કારોબારી ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી પ્રભુભાઈ મકવાણા અને તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક સરપંચ, અન્ય આગેવાનો, શિક્ષકો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ હાજરી આપી ઉત્સવ મનાવ્યો હતો.

આ પણ વાંચો – Surendranagar News: ધ્રાંગધ્રાના મંદિરમાં ચોરી કરનાર ચોરને પોલીસે ઝડપી પાડ્યો, 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત
