જામનગર-લાલપુર હાઈવે પર ચેલા ગામ નજીક શ્રાવણી સોમવારે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે સાતથી દસ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, ભોળેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ઓટો રિક્ષા, સામેથી આવતી કાર અને એક બાઈક વચ્ચે આ અકસ્માત થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા અને બાઈકને ભારે નુકસાન થયું હતું. મૃતકોમાં રિક્ષાચાલક વૃદ્ધ અને નવીન પઠાણ (ઉંમર 20) નામના યુવકનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોમાં બે મહિલાઓ અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે. ઘટના બનતાની સાથે જ સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. તાત્કાલિક ચાર જેટલી 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્તો પૈકી એકની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા હળવી કરી અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર હાઈવે પર ત્રિપલ અકસ્માત, 3નાં મોત:રિક્ષા-કાર-બાઈક વચ્ચે જોરદાર ટક્કર; 2 મહિલા, 5 બાળક ઘાયલ, ભોળેશ્વર મહાદેવના દર્શન કરી પરત ફરતા કાળ ભેટ્યો
📅 Published: August 31, 2026 |
📂 Category: gujarati-news
