નવસારી સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના નારાયણસ્વરૂપ સભાગૃહમાં “પ્રગટ કે ગુણ ગાવે રે” વિષય પર આધારિત ત્રિદિવસીય સંગીતમય સત્સંગ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. સારંગપુર BAPS સ્વામિનારાયણ મંદિરથી પધારેલા પૂજ્ય સૌમ્યકીર્તન સ્વામીએ સંગીતમય શૈલીમાં કથામૃતનું પાન કરાવ્યું. સૌમ્યકીર્તન સ્વામીએ જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણના મહાન સંત કવિઓ જેવા કે મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી સમક્ષ પ્રગટ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યક્ષ બિરાજમાન હતા. આ સંતોએ તેમના મહિમાના લાખો કીર્તનો રચ્યા છે. આ પરમહંસો પ્રગટ ભગવાનનું સુખ પામી કૃતાર્થ થયા હતા. સ્વામિનારાયણ ભગવાનના આ સંત કવિઓનું કાવ્ય ક્ષેત્રે ગુજરાતી સાહિત્યમાં અનેરું પ્રદાન છે. ભગવાન સ્વામિનારાયણના સંતોની જેમ તેમના ગૃહસ્થ ભક્તો પણ પ્રગટ ભગવાનના ઉપાસી હતા. તેમણે પણ પ્રગટ ભગવાનના ગુણગાન કરીને પોતાનું જીવન ધન્ય બનાવ્યું હતું. સૌમ્યકીર્તન સ્વામીએ વધુમાં જણાવ્યું કે, પ્રગટ ભગવાન અને પ્રગટ ગુરુદેવના ગુણ ગાવા, તેમનો મહિમા સમજવો અને તેમની સ્મૃતિ કરવી એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. જીવનમાં આ મહાન પ્રાપ્તિની પ્રતીતિ આવવી જોઈએ. તેમણે ઉપદેશ આપ્યો કે પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનમાં મહંત સ્વામી મહારાજ પ્રગટ ભગવાનનું સ્વરૂપ છે. તેમના ગુણોનું ગાન કરીને, તેમનો મહિમા સમજીને અને તેમની સ્મૃતિ કરીને આપણે જીવન સાર્થક કરવું જોઈએ.
નવસારી BAPS મંદિરમાં ત્રિદિવસીય સત્સંગ પારાયણ યોજાઈ:સૌમ્યકીર્તન સ્વામીએ પ્રગટ ભગવાનના મહિમાનું પાન કરાવ્યું
📅 Published: August 31, 2026 |
📂 Category: gujarati-news
