કાલગણના શ્રાવણ વ્યાખ્યાનમાળાનું પાંચમું સત્ર યોજાયું:સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, ઇન્દિરા ગાંધી કલા કેન્દ્ર દ્વારા આયોજન

📅 Published: September 1, 2026 | 📂 Category: gujarati-news

વેરાવળ ખાતે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે “કાલગણના” વિષય પર શ્રાવણ વ્યાખ્યાનમાળાના પાંચમા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વ્યાખ્યાનમાળામાં મુખ્ય વક્તા તરીકે ભારતીય ખગોળશાસ્ત્રના પ્રસિદ્ધ સંશોધક શ્રી સોમનાથ ચેટર્જી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભારતીય જ્ઞાનપરંપરામાં જ્યોતિષ (ખગોળવિજ્ઞાન)ના મહત્વ પર ભાર મૂક્યો હતો. શ્રી ચેટર્જીએ જણાવ્યું કે પ્રાચીન ભારતીય ખગોળવિજ્ઞાન મુખ્યત્વે અવલોકન અને ગણિત પર આધારિત હતું. વૈદિક સ્રોતોથી લઈને સિદ્ધાંત ગ્રંથો સુધી ભારતીય વિદ્વાનોએ ગણિતીય પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખગોળીય ગણનાની સમૃદ્ધ પરંપરા વિકસાવી છે.દ્વિતીય વક્તા તરીકે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગનાં સહાયકાચાર્યા શ્રીમતી અપુર્વા અગ્રવાલએ ગ્રહોની મેષાદિ બાર રાશિઓ તથા નક્ષત્રોમાં સંક્રાંતિ (રાશિપ્રવેશ)ના સમયના સ્વરૂપનું વિવેચન કર્યું. તેમણે શાસ્ત્રોમાં સંક્રાંતિના પુણ્યકાળમાં કરવામાં આવતાં ધાર્મિક કાર્યોના વિશેષ મહત્વ વિશે માહિતી આપી. તેમણે ‘મુહૂર્ત ચિંતામણિ’ ગ્રંથ અને અન્ય ધાર્મિક ગ્રંથોના આધારે સૂર્યની મકર સંક્રાંતિ સહિત અન્ય રાશિઓની સંક્રાંતિના સમયે થતાં શાસ્ત્રોક્ત ધાર્મિક કૃત્યો સમજાવ્યા.તૃતીય વ્યાખ્યાતા તરીકે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના શિવતત્ત્વપીઠના સહાયકાચાર્ય ડૉ. મંગલવર્ધન દાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત તથા અક્ષરપુરુષોત્તમ જેવા દર્શનોમાં ‘કાલ’ના વિવેચિત સ્વરૂપો પર પ્રકાશ પાડ્યો અને વિવિધ દાર્શનિક પરંપરાઓમાં કાલની સંકલ્પનાનું વિસ્તૃત નિરૂપણ કર્યું.વ્યાખ્યાન સત્રના પ્રારંભે જ્યોતિષ વિભાગના અધ્યક્ષ તથા વ્યાખ્યાનમાળાના સંયોજક ડૉ. નિત્યાનંદ ઓઝાએ કાર્યક્રમની પ્રસ્તાવના રજૂ કરી અને ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના પ્રાદેશિક કેન્દ્ર, વડોદરાનાં નિર્દેશિકા શ્રીમતી અપુર્વા લહેરીએ આભારવિધિ કરી.કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન એમ.એ. જ્યોતિષની વિદ્યાર્થિની આશકા લાબડિયાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં જ્યોતિષ વિભાગ તથા અન્ય વિષયોના જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ, જ્યોતિષ વિભાગનાં સહાયકાચાર્યા ડૉ. રમેશચંદ્ર શુક્લ તથા અન્ય અધ્યાપકગણ ઉપસ્થિત રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *