વરમોર સીમમાં 700 વર્ષ પૌરાણિક કોટેશ્વર મહાદેવનો મહિમા અપરંપાર

📅 Published: September 1, 2026 | 📂 Category: Ahmedabad

માંડલ (સં.ન્યૂ.સ)

સૌરાષ્ટ્રમાં સોમનાથ તેમ માંડલ તાલુકાના વરમોર ખાતે આવેલ કોટેશ્વર દાદા આ મંદિરનો ઈતિહાસ તાલુકામાં અતિપૌરાણિક છે કોટેશ્વર દાદાનું મંદિર વરમોર ગામથી એક કિલોમીટર દુર ઉંચી ટેકરી પર આવેલું છે. એમ કહેવાય છે કે આ કોટેશ્વર દાદાના દર્શન યુગોયુગથી થઈ રહ્યાં છે. જેથી યુગાન્ધર કોટેશ્વર દાદા તરીકે પણ વિસ્તારમાં પ્રચલિત છે. 700 વર્ષ પહેલાં અહીં ભગવાન ભોળાનાથ સાક્ષાત પ્રગટ થયેલાં છે આ ગામ પહેલાં વીસાવડી ગામ તરીકે ઓળખાતું હતું અને અહીં વીસાવડી માતાજીનું પણ મંદિર આવેલ છે. ધીરે ધીરે લોકબોલીમાં પરિવર્તન આવતાં પહેલાનું વીસાવડી ગામે આજે વરમોર તરીકે જાણીતું છે. આ મંદિરની બાજુમાં એક પાતાળ કુવો આવેલો છે જેને પખાણાંનો કુવો કહેવાય છે લોકમાન્યતા પ્રમાણે એમ કહેવાય છે કે, આ કુવો ભગવાન ભોળાનાથ પ્રગટ થયાં ત્યારથી આવેલો છે. આ કુવાએ ઘણાં વર્ષો પહેલાં દુષ્કાળની પરિસ્થિતિમાં આજુબાજુના દસ ગામોને મીઠું પાણી પુરું પાડેલું હતું કુવા અંગે પંથકના ગ્રામજનો કહી રહ્યાં છે કે ક્યારેય પાણી ખૂટયું નથી અને આજે પણ સ્વચ્છ અને મીઠાં નીર લોકો પીવે છે.

આ ઉપરાંત આ કોટેશ્વર દાદાના મંદિરમાં એક ચમત્કારિક પત્થર હતો જે નગારા જેવો રણકતો હતો પણ સમય જતાં તે પત્થર ક્યાં ગયો એ વાતને કોઈ જાણતું નથી આજે માંડલ તાલુકાની ભવ્યતા ધરાવતું એવું આ યશ,કિર્તી અને શોભા આપતું કોટેશ્વર દાદાનું કિર્તીમાન મંદિર ખેતરમાં એક ટેકરી ઉપર ઉભું છે. અહીં જે શીવલીંગ આવેલું છે તે પણ તેજોમય અને સોમનાથ જેવી અનુભુતિ કરાવે છે. અહીં વરમોર તેમજ તાલુકાના અનેક ગામોના, પંથકના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં બારેય માસની શીવરાત્રી તેમજ મહાશિવરાત્રીની રાત્રે 12 વાગ્યે મહાઆરતી થાય છે તદ્દઉપરાંત શ્રાવણ માસમાં આ મંદિરનું વાતાવરણ અને રોનક કઈંક અદ્દભુત અને દુર્લભ હોય છે. શ્રાવણ માસમાં ચાર પ્રહોરની આરતી,સવાલક્ષ બિલીપત્ર ગ્રામજનો દ્વારા ભગવાનને અર્પણ કરાય છે તથા શ્રાવણીયા સોમવારે બપોરથી ભક્તો આ મંદિરને શણગારે છે, મંદિરમાં રંગોળીઓ, દાદાને ભવ્ય શૃંગાર કરાય છે અને સાંજે પાંચ કલાકે અહીં મહાઆરતીના દર્શન થાય છે આ આરતીમાં શંખ,ઘંટ,નગારા જાણે રાજાઓના સમયમાં ભગવાનની આરતી થતી તેવી વિધિવત આરતી થાય છે એમાં આખું ગામ ઉપસ્થિત રહેતુ હોય છે આ આરતીના અને કોટેશ્વર દાદાના દર્શન કરવાથી જાણે સોમનાથ દર્શન કર્યા હોય તેવી અનુભુતિ થાય છે શ્રાવણ માસની અમાસના દિવસે ભાતીગળ લોકમેળો ભરાય છે જેને પખાણાનો મેળો તરીકે ઓળખાય છે. મેળામાં પણ અનેક પ્રકારના નાના મોટાં ચગડોળ,રાઈડ્સમાં મનોરંજન માણવા અને દાદાના દર્શનાર્થે માનવમહેરામણ ઉમટે છે. ત્યારે શ્રાવણ માસના તૃતિય સોમવારે મંદિર અને પરિસરના ફુલોથી સજાવવામાં આવ્યું હતું, તેમજ સાંજે 5 કલાકે મહાઆરતીમાં મોટી સંખ્યામાં વિસ્તારના ભાવિકો ઉમટી પડયાં હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *