લોકમેળામાં ખાવાપીવાનાં શોખીનો ચેતજો:રાજકોટ મનપાનાં ફૂડ વિભાગે વાસી ખોરાક પીરસાય તે પહેલાં ઉદ્ઘાટન પૂર્વે 10 કિલો વાસી બટેટાનો નાશ કર્યો, 50 સ્ટોલધારકોનું રજિસ્ટ્રેશન કરાયું

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટના પ્રખ્યાત અને લોકપ્રિય લોકમેળાના પ્રથમ દિવસે મેળો જાહેર જનતા માટે ખુલ્લો મુકાય અને તેનું સત્તાવાર ઉદ્ઘાટન થાય તે પહેલા જ આરોગ્ય વિભાગની ટીમે મેળાના મેદાનમાં પહોંચીને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ફૂડ વિભાગએ આજે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ ટેમ્પરરી ફૂડ રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરી હતી. આ સઘન ઝુંબેશ દરમિયાન લોકમેળા પરિસરમાં ખાણીપીણીના વેપાર સાથે સંકળાયેલા 50 જેટલા ફૂડ બિઝનેસ ઓપરેટર્સને સ્થળ પર જ આવરી લઈને કાયદેસરની રજીસ્ટ્રેશન નોંધણી કરવામાં આવી હતી. તેમજ એક સ્ટોલ પરથી વાસી બટેટાનો જથ્થો મળી આવતા 10 કિલો બટેટાનો નાશ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ લોકમેળામાં આનંદ માણવા આવતા મુલાકાતીઓના પેટમાં વાસી કે દૂષિત ખોરાક પહોંચે તે પહેલા જ આરોગ્ય વિભાગની ટીમેં સ્થળ પર પહોંચીને કડક ચકાસણી શરૂ કરી દીધી હતી. જેમાં લોકમેળામાં આવતા લોકો માટે તૈયાર કરવામાં આવતી વિવિધ ખાદ્યચીજો જેવી કે ફરાળી ચિપ્સ, ભૂંગળા બટેટા, સ્ટીમ ઢોકળા અને ગરમાગરમ ખીચું સહિતની તમામ ખાદ્ય સામગ્રીની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટીમ ઢોકળા બનાવવા માટે વપરાશમાં લેવાતું ખાદ્યતેલ, વિવિધ પ્રકારની ચટણી તેમજ મસાલાઓની ગુણવત્તા પણ ખાસ ચકાસવામાં આવી હતી. ઉપરાંત ફૂડ બિઝનેસ ઓપરેટર્સ દ્વારા રજીસ્ટ્રેશન વખતે વપરાશમાં લેવાતો કાચોમાલ, શાકભાજી તેમજ પેકિંગ મટિરિયલને તપાસવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ તપાસ દરમિયાન ભૂંગળા બટેટાના એક સ્ટોલમાં રાખેલી બટેટા ભરેલી બોરીઓની ચકાસણી કરતા તે પૈકી એક સ્ટોલમાંથી અંદાજીત 10 કિલો જેટલા સડેલા બટેટા મળી આવ્યા હતા. આરોગ્યની ટીમે સ્થાનિક લોકોના આરોગ્ય માટે અત્યંત હાનિકારક એવા સડેલા બટેટાનો તુરંત જ સ્થળ પર નાશ કરાવ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે મેળાના તમામ ફૂડ સ્ટોલ ધારકોને ગુણવત્તાયુક્ત અને શુદ્ધ કાચોમાલ વાપરવા તેમજ પ્રિપેડ ફૂડ યોગ્ય રીતે તપાસીને જ સંગ્રહ કરવા બાબતે આકરી તાકીદ કરી છે. આ સાથે જ દરેક સ્ટોલ ધારકને સ્થળ પર યોગ્ય હાઇજિનિક કન્ડિશન જાળવી રાખવા માટે કડક સૂચના આપવામાં આવી છે. મેળામાં આવતા નગરજનો અને મુલાકાતીઓને પણ લોકમેળામાં કોઈપણ ખાદ્ય સ્ટોલ પરથી ખોરાક આરોગતા પહેલા ત્યાંની સ્વચ્છતા અને હાઇજેનિક કન્ડિશન ચકાસી લેવા અને કોઈપણ ભેળસેળ જણાય તો તંત્રનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ લોકમેળામાં આ પ્રકારનું ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવનાર છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *