પાટણમાં ઉભરાતી ગટરથી તંગ આવી લોકોનો ચક્કાજામ:પદ્મનાથ ચોકડીની બન્ને તરફ 1કિમી લાંબી વાહનોની કતાર; ઉકેલ ન આવે તો આંદોલનની કિરિટ પટેલની ચેતવણી

📅 Published: September 3, 2026 | 📂 Category: gujarati-news

પાટણના મિરાં દરવાજા, સાંઈબાબા નગર અને પદ્મનાથ ચોકડી વિસ્તારમાં છેલ્લા 8 થી 9 મહિનાથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાથી પરેશાન સ્થાનિકોએ ધારાસભ્ય કિરીટ પટેલ અને કોંગ્રેસના કાર્યકરો સાથે મળી પદ્મનાથ ચોકડી પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. નગરપાલિકા તંત્ર સામે રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં આક્રોશે ભરાયેલા લોકોએ હવે માર્ગો પર ઉતરીને અનિશ્ચિત મુદતના આંદોલનની ઉગ્ર ચેતવણી આપી છે. પાટણમાં ગટરના પાણીથી રોગચાળાનો ભય શહેરના મિરાં દરવાજા, સાંઈબાબા નગર, પદ્મનાથ સોસાયટી, અખંડ આનંદ સોસાયટી અને રેડ ક્રોસ ભવનથી લઈને પદ્મનાથ ચાર રસ્તા સુધીના તમામ વિસ્તારો ગટરના ગંદા અને દુર્ગંધયુક્ત પાણીથી જળબંબાકાર થઈ ગયા છે. આ સમગ્ર પોશ વિસ્તારમાં ફેલાયેલી ભયાનક દુર્ગંધ અને ગંદકીના કારણે ડેંગ્યુ તેમજ મેલેરિયા જેવા ઘાતક રોગચાળાનો ભય ઊભો થયો છે. અહીંની પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે સોસાયટીઓમાં રહેતા કેટલાક સ્થાનિક રહીશો પોતાના મકાનોને તાળાં મારીને ગામડે રહેવા જવા માટે મજબૂર બન્યા છે. પદ્મનાથ ચોકડી પર ચક્કાજામથી ટ્રાફિકજામ સ્થાનિક રહીશોએ માત્ર 3 દિવસ પહેલા જ નગરપાલિકા પ્રમુખને રૂબરૂ મળીને ગટર લાઈનની કાયમી ધોરણે સફાઈ કરવા અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. આટલી રજૂઆતો છતાં પાલિકા તંત્ર દ્વારા સ્થળ પર કોઈ કામગીરી શરૂ કરવામાં ન આવતાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આક્રોશિત રહીશો, ધારાસભ્ય, કોર્પોરેટરો અને રાજકીય કાર્યકરોએ પદ્મનાથ ચોકડી પર એકઠા થઈને રસ્તો સંપૂર્ણપણે રોકી દેતાં બંને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ધારાસભ્યએ પાલિકાને ગણાવી ‘ગટરપાલિકા’ ચક્કાજામ દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સ્થાનિક વહીવટી તંત્ર સામે આકરા પ્રહારો કરતા પાટણ નગરપાલિકાને ‘ગટરપાલિકા’ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે જે વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સ્કૂલ, રેડક્રોસ સંસ્થા અને અનેક સારી સોસાયટીઓ આવેલી છે ત્યાં પણ છેલ્લા 6 થી 9 મહિનાથી ગટરની વિકટ સમસ્યા છે. અગાઉ સંકલન સમિતિ અને આરસીએમ (RCM) ની બેઠકમાં 2 વાર રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓ દ્વારા માત્ર 10 થી 15 દિવસમાં ટેન્ડર બહાર પાડવાના પોકળ આશ્વાસનો જ આપવામાં આવે છે. ચીફ ઓફિસર સામે તાનાશાહીના આરોપ ધારાસભ્ય અને રહીશોએ ચીફ ઓફિસર પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે જ્યારે કોર્પોરેટરો અને રહીશો આ સમસ્યા અંગે રજૂઆત કરવા પાલિકા કચેરીએ ગયા ત્યારે ચીફ ઓફિસરે તેમની સાથે અત્યંત ઉદ્ધત વર્તન કર્યું હતું અને રહીશોના મોબાઈલ પણ તોડી નાખ્યા હતા. ભાજપના જ ચૂંટાયેલા કોર્પોરેટરો અને સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ચીફ ઓફિસર તેમજ પ્રમુખને પ્રજાની સુખાકારીના કામો કરવામાં કોઈ રસ નથી પરંતુ માત્ર ટેન્ડરો પ્રક્રિયા મારફતે ભ્રષ્ટાચાર આચરવામાં જ રસ ધરાવે છે.
ઉકેલ ન મળે તો અનિશ્ચિત આંદોલન ગટરની આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ટેન્કર દ્વારા ગટરનું ગંદુ પાણી ભરીને નગરપાલિકા કચેરી ખાતે લાવવામાં આવશે અને ત્યાં તેનો અભિષેક કરીને વિરોધ પ્રદર્શિત કરાશે. સાઈબાબાનગરના રહીશ કમલેશભાઈએ જણાવ્યું કે છેલ્લા 8 થી 9 મહિનાથી સમસ્યા હોવા છતાં કલેક્ટર કે ચીફ ઓફિસર કોઈ સાંભળતું નથી. જો આજે પણ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આવતીકાલથી તમામ રહીશો પોતાના ઘરબાર છોડીને રસ્તા પર અનિશ્ચિત મુદત માટે ધામા નાખશે અને ગટર સંપૂર્ણ સાફ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *