જન્માષ્ટમી પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર શહેરમાં વિવિધ લોકમેળાઓ યોજાઈ રહ્યા છે. આ મેળાઓમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. લોકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને, સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મેળામાં સાવચેતી રાખવા માટે 10 મહત્વની સૂચનાઓ જાહેર કરી છે. પોલીસે અપીલ કરી છે કે ભીડભાડવાળી જગ્યાએ સાવચેતી રાખવી અને રાઈડ પર વધુ ભીડ ન કરવી. રાઈડ ચાલુ હોય ત્યારે નિર્ધારિત સુરક્ષા વિસ્તારની બહાર ન જવા જણાવ્યું છે. માતા-પિતાને ખાસ કરીને નાના બાળકોને એકલા ન છોડવા અને હંમેશા પોતાની નજર સામે રાખવાની સૂચના આપવામાં આવી છે. જો મેળામાં કોઈ વ્યક્તિ ખોવાઈ જાય, તો તાત્કાલિક મેળા ખાતેના અનાઉન્સમેન્ટ બુથ અથવા પોલીસ મદદ કેન્દ્રનો સંપર્ક કરવા જણાવ્યું છે. આ ઉપરાંત, મોબાઈલ, પૈસા અને દાગીના જેવી કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવા અને અજાણ્યા વ્યક્તિઓથી દૂર રહેવાની અપીલ કરાઈ છે. પોલીસે રાઈડની સુરક્ષા સૂચનાઓનું પાલન કરવા, દારૂ પીને મેળામાં ન આવવા અને કોઈપણ પ્રકારના નશાની હાલતમાં રાઈડ કે અન્ય પ્રવૃત્તિમાં ભાગ ન લેવા ખાસ અપીલ કરી છે. મેળામાં આવેલા પ્રાથમિક સારવાર કેન્દ્રની માહિતી રાખવા અને ઈમરજન્સીમાં તેનો સંપર્ક કરવા પણ જણાવ્યું છે. ભીડમાં કોઈ ઈમરજન્સી થાય તો બહાર નીકળવાના ઈમરજન્સી એક્ઝિટ માર્ગની જાણકારી રાખવા સૂચના અપાઈ છે. જો કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ જણાવ્યું છે. સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને લોકોને સંદેશ આપ્યો છે કે, “સાવચેતી રાખો, નિયમોનું પાલન કરો અને મેળાનો આનંદ માણો.” સુરક્ષિત તમે, સુરક્ષિત પરિવાર અને સુરક્ષિત સમાજ માટે સૌએ સહકાર આપવો જરૂરી છે. પોલીસ હેલ્પલાઈન નંબર 6359626182 છે.
સુરેન્દ્રનગર પોલીસે જન્માષ્ટમી લોકમેળા માટે અપીલ કરી:સુરક્ષા માટે 10 મહત્વની સૂચનાઓ જાહેર, બાળકોનું ધ્યાન રાખવા ખાસ તાકીદ.
📅 Published: September 3, 2026 |
📂 Category: gujarati-news
