સુરતમાં રોગચાળો વકરતા બ્લડ બેંકોમાં રક્તની અછત:સુરત સિવિલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, તબીબો અને આરોગ્યકર્મીઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

📅 Published: September 3, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ડેન્ગ્યુ, મેલેરિયા, વાઇરલ તાવ અને મોસમી બીમારીઓના કેસોમાં આવેલા અચાનક ઉછાળા તેમજ નિયમિત સર્જરીઓના કારણે નવી સિવિલ હોસ્પિટલમાં રક્તની ભારે અછત સર્જાઈ છે. સામાન્ય રીતે દર મહિને 2,000 યુનિટ બ્લડની નિયમિત જરૂરિયાત રહેતી હોય છે, તેની સામે હાલ બ્લડ બેંકમાં મર્યાદિત સ્ટોક હોવાથી ગંભીર દર્દીઓના હિતમાં વિશેષ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કટોકટીના સમયે સમાજ સમક્ષ પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડતા સિવિલ હોસ્પિટલના તબીબો, રેસિડેન્ટ ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફે ખુદ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું, જેમાં એક જ દિવસમાં 42 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના કર્મચારીઓએ ‘ચેરિટી બિગિન્સ એટ હોમ’ નો સંદેશ આપ્યો
દર્દીઓને જીવનદાન આપવા માટે શરૂ થયેલા આ સેવા યજ્ઞમાં હોસ્પિટલના સિનિયર મેડિકલ ઓફિસર ડૉ. લક્ષ્મણ તેહલાણી, ડૉ. સુમિત જાગાણી અને ડૉ. બર્મન સહિતના વરિષ્ઠ તબીબોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. તેમની સાથે નર્સિંગ સ્ટાફ, સેનેટરી ઇન્સ્પેક્ટર્સ, સુપરવાઇઝર્સ તેમજ વર્ગ-4 ના સફાઈ કર્મીઓએ પણ સિવિલ બ્લડ બેંકમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું. હોસ્પિટલ પરિવાર દ્વારા લેવાયેલા આ પગલાથી સારવાર લઈ રહેલા અસહાય ગરીબ દર્દીઓને મોટી રાહત સાંપડી છે. દૈનિક 80થી 90 બોટલની અનિવાર્ય જરૂરિયાત
સિવિલ બ્લડ બેંકના વડા ડૉ. જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ માટે લોહીનું એક-એક બુંદ જીવનરક્ષક સાબિત થાય છે. સિવિલ હોસ્પિટલમાં દૈનિક ધોરણે 80 થી 90 બ્લડ બોટલની જરૂર પડે છે. ખાસ કરીને ગંભીર માર્ગ અકસ્માતો, સગર્ભા મહિલાઓની ડિલિવરી, જટિલ સર્જરીઓ, સિકલ સેલ એનેમિયા તેમજ ડેન્ગ્યુના ગંભીર કેસોમાં બ્લડ અને પ્લેટલેટ્સની તાકીદે આવશ્યકતા ઊભી થાય છે. દૂર-સુદૂરના અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા અને જેમના સગા-સંબંધીઓ સાથે ન હોય તેવા નિરાધાર દર્દીઓને પણ 24 કલાક કાર્યરત બ્લડ બેંક દ્વારા સંપૂર્ણપણે વિનામૂલ્યે રક્ત પૂરું પાડવામાં આવે છે. શ્રાવણ માસ અને વરસાદના કારણે કલેક્શન ઘટ્યું, A+ અને AB+ ની અછત
સુરત રક્તદાન કેન્દ્રના નિતેશ મહેતાએ વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાથી મોટાભાગના લોકો ઉપવાસ-એકટાણાં કરતા હોય છે, જેના કારણે સામાન્ય દિવસોની સરખામણીએ નિયમિત રક્તદાતાઓ રક્તદાન કરી શકતા નથી. આ ઉપરાંત સતત વરસાદી માહોલના કારણે શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક મંડળો દ્વારા યોજાતી રક્તદાન શિબિરોનું પ્રમાણ પણ નહિવત થઈ ગયું છે. પરિણામે હાલમાં ખાસ કરીને A+ (એ પોઝિટિવ) અને AB+ (એબી પોઝિટિવ) બ્લડ ગ્રૂપની તીવ્ર તંગી જોવા મળી રહી છે, જેને પહોંચી વળવા માટે નાગરિકોએ આગળ આવવું અનિવાર્ય બન્યું છે. તહેવારોમાં માનવસેવાના યજ્ઞમાં જોડાવા તબીબી અધિક્ષકની અપીલ
નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. પારૂલ વડગામાએ આગામી ગણેશોત્સવ અને નવરાત્રીના પાવન તહેવારોને ધ્યાનમાં રાખીને સુરતના યુવાનો, નાગરિકો તેમજ સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓને જાહેર અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ઉત્સવોની ઉજવણી વચ્ચે સામાજિક જવાબદારી નિભાવીને સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર ખાતે વધુમાં વધુ લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરવું જોઈએ, કારણ કે રક્તદાન એ કોઈ પણ ફેક્ટરીમાં બની શકતું નથી અને આપેલું રક્ત જ કોઈના જીવનનો દીવો બુઝાતો અટકાવી શકે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *