અમરેલીમાં આજે અમિત શાહના હસ્તે ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ:ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા 80 હજાર ચોરસ ફૂટમાં 4 કરોડથી વધુના ખર્ચે નિર્માણ, 70થી વધુ ગામોના ખેડૂતોને સીધો લાભ મળશે

📅 Published: August 27, 2026 | 📂 Category: gujarati-news

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ ખાતે પદ્મશ્રી સવજી ધોળકિયા સંચાલિત ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા પોતાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ‘ગુજરાત ગૌરવ સરોવર’નું આજે દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. અંદાજે 4 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયેલું આ સરોવર 80 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલું છે અને તેમાં આશરે 23 કરોડ લિટર પાણીનો સંગ્રહ થઈ શકે છે. વરસાદના કારણે સરોવર હાલ પાણીથી ભરાઈ ગયું છે. અમિત શાહ સાથે ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિત રહેશે
લોકાર્પણ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત કૃષિ પ્રભારી કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, ઊર્જા મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરીયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિત ધારાસભ્યો જનક તળાવિયા, મહેશ કસવાળા અને હીરા સોલંકી સહિતના સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ખારાપાટ વિસ્તારને પાણીથી સમૃદ્ધ બનાવવાની શરૂઆત
દુધાળા અને આસપાસના વિસ્તારમાં વર્ષ 2017થી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળસંચયની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે સમયે આ સમગ્ર પંથક ખારાપાટ તરીકે ઓળખાતો હતો અને પાણીની અછતને કારણે ખેતી કરવી મુશ્કેલ હતી. ગાગડિયા નદી વિસ્તારમાં પણ પાણીનો જથ્થો નહિવત્ હોવાથી ખેડૂતોની જમીનો સૂકી રહેતી હતી. ફાઉન્ડેશન દ્વારા રાજ્ય સરકારના સહયોગથી નદી-નાળામાં પાણી રોકવા માટે ચેકડેમ અને સરોવરો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. ગાગડિયા નદી વિસ્તારમાં આશરે 57 કિલોમીટરના પટમાં અલગ-અલગ સ્થળોએ 40 જેટલા ચેકડેમ અને સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. 70થી વધુ ગામોના ખેડૂતોને સીધો લાભ
જળસંચયની કામગીરીના કારણે આસપાસના 70થી વધુ ગામોના ખેડૂતોને સીધો લાભ થયો છે. પાણીના સ્તરમાં સુધારો થતાં ખેતીવાડી વિસ્તાર વધુ મજબૂત બન્યો છે. અગાઉ પાણીની અછતથી પરેશાન ખેડૂતો હવે વધુ સારી રીતે ખેતી કરી રહ્યા છે. પાણીની ઉપલબ્ધતાના કારણે આ વિસ્તારમાં જમીનના ભાવમાં પણ ધીમે ધીમે વધારો થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. દેશના અનેક મહાનુભાવોએ મુલાકાત લીધી
દુધાળામાં થયેલી જળસંચયની કામગીરીને કારણે આ વિસ્તાર દેશભરમાં ચર્ચામાં આવ્યો છે. અહીં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી ચૂકી છે. હવે ગૃહમંત્રી અમિત શાહ ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ કરવા આવી રહ્યા હોવાથી સ્થાનિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતભરમાં જળસંચયના કામને આગળ વધારવાની તૈયારી
ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા દુધાળા નજીક સરોવર અને તળાવો ઊંડા કરી જળસંચય માટે શરૂ કરાયેલું અભિયાન હવે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વિસ્તર્યું છે. સંસ્થા દ્વારા કુલ 208 જેટલા સરોવર નિર્માણના કામ હાથ ધરાયા છે, જેમાંથી 198 સરોવરોનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. અમરેલી ઉપરાંત કચ્છ, મહીસાગર, સિદ્ધપુર, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં જળસ્રોતોને ઊંડા કરવા અને પાણી બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ‘અમિતભાઈએ કહ્યું, મારા માટે એક સરોવર બાકી રાખજો’ : સવજી ધોળકિયા
પદ્મશ્રી સવજી ધોળકિયાએ જણાવ્યું કે ગુજરાતનું ગૌરવ એવા ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ અમિત શાહના હસ્તે થવું તેમના માટે ગૌરવની વાત છે. તેમણે જણાવ્યું કે અમિત શાહે અગાઉ તેમને એક સરોવર પોતાના માટે બાકી રાખવાનું કહ્યું હતું અને ભારત માતા સરોવરની બાજુમાં આ સરોવર તૈયાર કરવામાં આવ્યું છે. તેમના હસ્તે આજે 27મીએ તેનું લોકાર્પણ થવાનું હોવાથી દુધાળા અને સમગ્ર અમરેલી જિલ્લા માટે આ ગૌરવની ક્ષણ છે. 24 કરોડ લિટર સુધી પાણી સંગ્રહની ક્ષમતા : નીતિન સાવલિયા
ધોળકિયા ફાઉન્ડેશનના નીતિન સાવલિયાએ જણાવ્યું કે ‘ગુજરાત ગૌરવ સરોવર’ આશરે 80 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને તેમાં લગભગ 24 કરોડ લિટર પાણીનો સંગ્રહ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે સંસ્થા દ્વારા ગુજરાતમાં 200 જેટલા સરોવરોનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેના કારણે ખેડૂતોને મોટો લાભ થયો છે. વરસાદ ખેંચાય તેવી સ્થિતિમાં પણ અહીં ખેડૂતોના પાકને પાણીની ઉપલબ્ધતાના કારણે ફાયદો થઈ રહ્યો છે. 700 ફૂટે પણ પાણી નહોતું મળતું : ખેડૂત
સ્થાનિક ખેડૂત ઘનશ્યામભાઈ ખૂંટે જણાવ્યું કે અગાઉ આ વિસ્તારમાં 700 ફૂટ ઊંડાઈએ પણ પાણી મળતું ન હતું. જળસંચયના કામો બાદ સ્થિતિમાં મોટો બદલાવ આવ્યો છે. તેમણે જણાવ્યું કે હાલ આસપાસના વિસ્તારમાં પાણી ભરાયું છે અને બોરમાં પણ પાણી આવ્યું છે. જળસંચયની કામગીરીના કારણે અનેક ખેડૂતોના જીવનમાં સુખાકારી આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. દુધાળાથી સમગ્ર ગુજરાત સુધી જળસંચયનો સંદેશ
‘ગુજરાત ગૌરવ સરોવર’ માત્ર એક સરોવર નહીં પરંતુ જળસંચય અને ખેતીને મજબૂત બનાવવાના અભિયાનનું પ્રતીક બની રહ્યું છે. દુધાળા વિસ્તારમાં વર્ષોથી કરવામાં આવેલી કામગીરીના પરિણામે ખારાપાટ ગણાતો વિસ્તાર હવે પાણી અને ખેતીની દૃષ્ટિએ સમૃદ્ધ બની રહ્યો છે. હવે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા આ જળસંચય મોડેલને સમગ્ર ગુજરાતમાં આગળ લઈ જવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *