અમેરિકા, વડાપ્રધાન મોદીથી લઈને મોહન ભાગવત:RSSના વડાનું ન્યૂયોર્કમાં ધાર્મિક સહિષ્ણુતા પર વક્તવ્ય, કહ્યું-'ધર્મથી ઉપર બંધારણ અને વ્યક્તિની આઝાદી'

📅 Published: September 3, 2026 | 📂 Category: gujarati-news

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ગયા અઠવાડિયે અમેરિકાની મુલાકાતે હતા અને ન્યૂયોર્કના પ્રખ્યાત મેડિસન સ્ક્વેર ખાતે તેમનું જાહેર પ્રવચન હતું. એ દરમિયાન તેમના માટેની એક જાહેર ઓળખ અને છબીથી વિપરીત તેમણે ધાર્મિક સહિષ્ણુતાની વાત કરી, જે દેશ-વિદેશમાં ઘણી ચર્ચાસ્પદ બની. નરેન્દ્ર મોદીના વિઝા વિવાદથી લઈને પીએમ તરીકેના આમંત્રણની સફર
જોવાની વાત એ છે કે વર્ષો પહેલાં એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેટલાક હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ લોબીના વાંધાના કારણે અમેરિકાના વિઝા નહોતા મળ્યા. જોકે પછી ભારતના સર્વોચ્ચ પદ, વડાપ્રધાનના હોદ્દેદારના નાતે અમેરિકાએ તેમને આમંત્રણ આપ્યું અને ત્યાર પછી તો તેઓ ઘણી વખત અમેરિકા આવી ગયા એ જાણીતી વાત છે. RSS પ્રમુખના નિવેદન પાછળ અમેરિકી નીતિની ભૂમિકા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેની છબી હિન્દુત્વવાદી સંસ્થા તરીકેની છે, તેના વડા મોહન ભાગવત અહીં આવે છે અને ધાર્મિક સહિષ્ણુતાની વાત કરે છે, પાયામાં અમેરિકા દેશની વિવિધ ધર્મ અને ધાર્મિક સહિષ્ણુતા વિશેની પોલિસી તથા બધા ધર્મોની સારાઈને મોકળા મને આવકારવાની નીતિ પણ જવાબદાર છે. મેલ્ટિંગ પોટ તરીકે અમેરિકા અને નાગરિકોના મૂળભૂત અધિકારો
ફક્ત ઉચ્ચ કારકિર્દી અને ગુણવત્તાસભર જીવન માટે જ નહીં, પણ અમેરિકાને ઘણી વખત મેલ્ટિંગ પોટ એટલે કે વિવિધ સંસ્કૃતિઓ અને માન્યતાઓનું મિલનસ્થળ પણ આ જ કારણસર કહેવામાં આવે છે. પરંતુ વ્યક્તિગત સ્વતંત્રતા અને પસંદગીના નાગરિકના મૂળભૂત હકને પ્રાથમિકતા આપતા અમેરિકાની ઓળખ તથા તેની લોકશાહી વ્યવસ્થાનો એક મહત્વનો આધાર એ વિચાર છે કે સરકાર કોઈ એક ધર્મની માલિક નથી, અને નાગરિકને ધર્મ પસંદ કરવાની, બદલવાની કે કોઈ પણ ધર્મ ન માનવાની પણ સ્વતંત્રતા છે. અમેરિકી બંધારણનું ફર્સ્ટ એમેન્ડમેન્ટ અને ધાર્મિક સ્વતંત્રતા
2023-24 રિલીજિયસ લેન્ડસ્કેપ સ્ટડી પ્રમાણે, જે દેશના આશરે 62 ટકા લોકો પોતાને ખ્રિસ્તી તરીકે ઓળખાવે છે, એ અમેરિકાના બંધારણના ફર્સ્ટ એમેન્ડમેન્ટમાં જ સ્પષ્ટ થયેલું છે કે સરકાર ધર્મ સ્થાપિત કરતા કાયદા બનાવી શકે નહીં. સાથે જ દરેક વ્યક્તિ પોતાની માન્યતા અને આસ્થા મુજબનો ધર્મ પાળી શકે છે. આ બે સિદ્ધાંતોને સામાન્ય રીતે એસ્ટાબ્લિશમેન્ટ ક્લોઝ અને ફ્રી એક્સરસાઇઝ ક્લોઝ તરીકે ઓળખવામાં આવે છે. એક તરફ સરકાર કોઈ સત્તાવાર ધર્મ સ્થાપી શકતી નથી, તો બીજી તરફ સરકાર કોઈ વ્યક્તિને તેની ધાર્મિક માન્યતા કે ઉપાસના માટે અન્યાયી રીતે રોકી પણ શકતી નથી. અમેરિકામાં વધતી અશ્રદ્ધાળુ વસ્તી અને બદલાતું ડેમોગ્રાફિક્સ
અમેરિકાની બીજી મોટી ઓળખ એ છે કે લગભગ 29 ટકા પુખ્ત અમેરિકનો કોઈ ચોક્કસ ધર્મ સાથે જોડાયેલા નથી. જેમાં નાસ્તિક, અજ્ઞેયવાદી અને ખાસ કોઈ એક ધર્મમાં નહીં માનનારાઓનો સમાવેશ થાય છે. બાકીના આશરે 7 ટકા લોકો ખ્રિસ્તી ધર્મ સિવાયના ધર્મો સાથે જોડાયેલા છે, જેમાં યહૂદી, મુસ્લિમ, બૌદ્ધ અને હિન્દુ સમુદાયોનો સમાવેશ થાય છે. અને આ આંકડા અમેરિકાના બદલાતા સામાજિક માળખાની રસપ્રદ ઝલક આપે છે. અંતરાત્માના અધિકાર અને સાંસ્કૃતિક વૈવિધ્યનું રક્ષણ
આમ પણ વ્યક્તિસ્વાતંત્ર્યના પાયા પર ઊભું થયેલું અમેરિકા ‘સરકારનો પોતાનો ધર્મ નહીં, પરંતુ દરેક નાગરિકને પોતાના અંતરાત્માનો અધિકાર’ એમાં ન માને અને એનું પાલન ન કરે તો જ નવાઈ. માટે જ અમેરિકા ધાર્મિક રીતે અગાઉ કરતાં ઘણું વધારે વૈવિધ્યસભર બની ગયું છે. ચર્ચ અને સ્ટેટનું અલગીકરણ તથા સત્તાની મર્યાદાઓ
બીજી મહત્વની વાત એ પણ છે કે અમેરિકામાં સેપરેશન ઓફ ચર્ચ એન્ડ સ્ટેટ એટલે કે ધર્મ અને રાજ્ય અલગ છે. એ શબ્દો બંધારણમાં આ જ સ્વરૂપે લખાયેલા નથી; પરંતુ એસ્ટાબ્લિશમેન્ટ ક્લોઝ અને ફ્રી એક્સરસાઇઝ ક્લોઝ દ્વારા સરકાર અને ધર્મ વચ્ચેની સત્તાની મર્યાદા નક્કી થાય છે. શાળાઓમાં ધાર્મિક તટસ્થતા અને અમેરિકી કાયદો
રસપ્રદ રીતે સરકારનું કામ કોઈ ધર્મને સત્તાવાર બનાવવાનું નથી. પરંતુ તેનો અર્થ એવો પણ નથી કે જાહેર જીવનમાંથી ધર્મને સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ પોતાના ધર્મ અનુસાર પ્રાર્થના કરી શકે છે, ધાર્મિક વસ્ત્ર પહેરી શકે છે અથવા પોતાની ધાર્મિક માન્યતા જાહેર કરી શકે છે. પરંતુ સરકારી અધિકારી અથવા જાહેર શાળા વિદ્યાર્થીઓ પર કોઈ ચોક્કસ ધર્મની પ્રાર્થના લાદી શકતી નથી. અમેરિકાનું શૈક્ષણિક મંત્રાલય પણ સ્પષ્ટ કરે છે કે જાહેર શાળાઓમાં સરકારે ધાર્મિક અભિવ્યક્તિ પ્રત્યે ન તો પક્ષપાત કરવો જોઈએ, ન તો શત્રુતા રાખવી જોઈએ. બ્રિટન અને અમેરિકા વચ્ચે ધાર્મિક સ્વતંત્રતાનો તફાવત
બ્રિટનમાં જેમ રસ્તા પર નમાજ પઢવાથી માંડીને કોઈ પણ ધર્મના લોકો ધાર્મિક સરઘસ કાઢી શકે છે, એવું સાવ અમેરિકામાં નથી. માટે જ ઘણી વખત યુએસએની બહાર એવી છાપ પડે છે કે અમેરિકામાં સરકાર ધર્મવિરોધી છે, પણ એ હકીકત નથી. એનાથી ઉલટું, અમેરિકન બંધારણીય સિદ્ધાંતનો ઉદ્દેશ ધર્મનો વિરોધ કરવાનો નહીં, પરંતુ સરકારી નિષ્પક્ષતા જાળવવાનો છે. સરકારી તટસ્થતાની બંધારણીય ફરજ
અને આ સમજ તથા સ્પષ્ટતા બંને મળીને સરકારને ધર્મના મામલે તટસ્થ રહેવાની ફરજ પાડે છે. માટે જ અમેરિકાની ધાર્મિક સહિષ્ણુતા માત્ર ખ્રિસ્તી ધર્મ સુધી સીમિત નથી. પણ અભ્યાસ અને નોકરી માટે આજે પણ પ્રથમ નંબરે આવતા આ દેશમાં મુસ્લિમ, હિન્દુ, બૌદ્ધ, શીખ, જૈન, યહૂદી અને વિવિધ ઇન્ડિજીનસ ટ્રેડિશન્સ અને અન્ય ધાર્મિક સમુદાયો પણ વસે છે. અને આ લોકોની ટકાવારી નાની લાગતી હોવા છતાં, મોટા અને વિવિધતાસભર અમેરિકન સમાજમાં આ લાખો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. ધાર્મિક આસ્થા અને નાગરિક અધિકારો વચ્ચેનો ટકરાવ
આટલી બધી સ્પષ્ટ સમજ અને એ સમજણને કાયદાનું રક્ષણ હોવા છતાં, અહીં અમેરિકન કાયદો એક મુશ્કેલ પ્રશ્નનો સામનો કરે છે: જો કોઈ વ્યક્તિની ધાર્મિક માન્યતા અને બીજા નાગરિકના કાયદેસર અધિકાર વચ્ચે ટકરાવ થાય, તો કોને પ્રાથમિકતા મળે? યુરોપિયન દેશો કરતાં અલગ અમેરિકી અદાલતોનો અભિગમ
અને આવા પ્રશ્નો જે આખી દુનિયામાં વારંવાર ઊભા થતા હોય છે, ત્યાં આવા પ્રશ્નોમાં અમેરિકામાં અદાલતોએ સંતુલન શોધવું પડે છે. અને આ રીતે બીજા દેશો, ખાસ કરીને યુરોપના ઘણા દેશોની સરખામણીએ અમેરિકા જુદું પડે છે; જ્યાં ધાર્મિક સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે, પરંતુ જાહેર સુરક્ષા, સમાન અધિકાર અને અન્ય લોકોના કાયદેસર હકો પણ મહત્વ ધરાવે છે. વોક કલ્ચર અને સામાજિક પરિવર્તનનો નવો યુગ
ગુણવત્તાસભર જીવન અને વ્યક્તિસ્વાતંત્ર્યના પ્રયોગો જ્યાં થાય છે અને એ વાતને પ્રાધાન્ય અપાય છે, એવું અમેરિકા માટે જ એક રસપ્રદ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. ખ્રિસ્તી ધર્મ હજુ પણ સૌથી મોટો ધાર્મિક સમુદાય છે, પરંતુ તેની વસ્તીનો હિસ્સો લાંબા ગાળે ઘટ્યો છે. અને અનેક મજાના વિરોધાભાસો જેમ કે ‘વોક કલ્ચર’નો ઉદ્ભવ વગેરેને કારણે મેલ્ટિંગ પોટ બની રહેલા આ દેશમાં, બીજી તરફ કોઈ પણ ધર્મ સાથે ન જોડાયેલા હોય એવા લોકોની સંખ્યા પણ વધી છે. ધાર્મિક અને અધાર્મિક માન્યતાઓનું ભવિષ્યનું અમેરિકા
આનો અર્થ એ છે કે ભવિષ્યનો અમેરિકન સમાજ માત્ર ‘વિવિધ ધર્મોનું અમેરિકા’ નહીં, પરંતુ ધાર્મિક અને અધાર્મિક બંને માન્યતાઓનું અમેરિકા બની રહ્યો છે. અને કદાચ અમેરિકન ધાર્મિક નીતિની સૌથી મોટી કસોટી પણ આ જ છે. શું સરકાર મુસ્લિમ, હિન્દુ, બૌદ્ધ, શીખ, જૈન, યહૂદી અથવા કોઈ ધર્મ ન માનતા નાગરિક સાથે સમાન અંતર જાળવી શકે? વૈશ્વિક સંઘર્ષો વચ્ચે અમેરિકન પ્રયોગનો મોટો બોધપાઠ
ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં જ્યાં એક બાજુ જમણેરી ઝોક ધરાવતી સરકારો અસ્તિત્વમાં છે, તો બીજી બાજુ ઇઝરાયેલ-પેલેસ્ટાઇન જેવા ધાર્મિક આસ્થાના આધારે અસ્તિત્વમાં આવેલા દેશો સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છે; ત્યારે અમેરિકન પ્રયોગ આપણને એક મહત્વનો પાઠ આપે છે. ‘ધાર્મિક સહિષ્ણુતા એટલે દરેક વ્યક્તિ એકસરખી માન્યતા રાખે તે નહીં; પરંતુ અલગ માન્યતા ધરાવતા લોકો એક જ કાયદા હેઠળ સ્વતંત્ર રીતે સાથે રહી શકે તે…’


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *