આજથી ઓલા-ઉબેર સામે રિક્ષા-ટેક્સી ચાલકોનું ‘રોજગાર બચાવો’ આંદોલન:10 સપ્ટેમ્બર સુધી 4 દિવસીય હડતાળથી લાખો પૈડાં થંભશે, 3.70 લાખથી વધુ ચાલકો હડતાળમાં જોડાશે

📅 Published: September 7, 2026 | 📂 Category: gujarati-news

ઓલા, ઉબેર અને રેપિડો જેવી ઓનલાઈન ટેક્સી એપ્લિકેશનો સામે અમદાવાદના રિક્ષા અને ટેક્સી ચાલકોનું ‘રોજગાર બચાવો’ આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતાં અમદાવાદ રિક્ષા ચાલક એકતા સહિતના વિવિધ સંગઠનો દ્વારા આજથી 10 સપ્ટેમ્બર સુધી 4 દિવસના સંપૂર્ણ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ દેશવ્યાપી વિરોધના પગલે શહેરમાં આશરે 3 લાખ રિક્ષા અને 70 હજારથી વધુ ટેક્સીઓના પૈડાં થંભી જતાં સામાન્ય મુસાફરો, નોકરીયાતો અને વરિષ્ઠ નાગરિકોને આગામી દિવસોમાં ભારે હાલાકી ભોગવવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે. ગેરકાયદે બાઈક ટેક્સી બંધ કરવા અને યોગ્ય ભાડાના નિયમનની માંગ
ખાનગી એપ્લિકેશન કંપનીઓની અનિયંત્રિત નીતિઓને લીધે પરંપરાગત વાહન ચાલકોની રોજીરોટી પર ગંભીર સંકટ ઊભું થયું હોવાનો આક્ષેપ યુનિયનોએ કર્યો છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર ચાલતી ગેરકાયદેસર ટુ-વ્હીલર ટેક્સી સેવાઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો અને સરકારના નિયત ધારાધોરણ મુજબ વાજબી ભાડાં નક્કી કરવાની મુખ્ય માંગણીઓ છે. આ મામલે ગત 27 ઓગસ્ટે ગાંધીનગર ખાતે ટ્રાન્સપોર્ટ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યા બાદ 28 ઓગસ્ટથી રિક્ષાઓ પાછળ વિરોધ દર્શાવતાં પોસ્ટર્સ લગાવી આંદોલન શરૂ કરાયું હતું, પરંતુ તંત્ર તરફથી સકારાત્મક પ્રતિસાદ ન મળતાં આખરે ચક્કાજામનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. 3.70 લાખથી વધુ ચાલકો હડતાળમાં જોડાશે
આ બંધને સફળ બનાવવા માટે અમદાવાદના અંદાજે 3 લાખ રિક્ષા ચાલકો અને 70 હજારથી વધુ ટેક્સી ચાલકો રસ્તા પરથી દૂર રહેશે, જ્યારે નિયમભંગ કરનારા ચાલકોને શાંતિપૂર્ણ રીતે સમજાવવા માટે યુનિયનના કાર્યકરો વિવિધ વિસ્તારોમાં તૈનાત રહેશે. અતિ આવશ્યક સંજોગો સિવાય અન્ય તમામ સેવાઓ સ્થગિત રાખવાની અપીલ કરવામાં આવી છે. જોકે, વિદ્યાર્થીઓના અભ્યાસ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષા ચાલકોને આ બંધમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેથી બાળકોને ઘરેથી શાળાએ પહોંચાડવાની નિયમિત સેવાઓ પૂર્વવત્ ચાલુ રહેશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *