મુસ્લિમ સમાજ માટે અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ પર્વ એવા ઈદ-એ-મિલાદની જૂનાગઢ શહેરમાં પરંપરાગત ધાર્મિક આસ્થા અને ભારે ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર દિવસ હઝરત મુહંમદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પવિત્ર જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે. આ પ્રસંગે મુસ્લિમ સમાજના લોકોએ નબી-એ-કરીમની સીરત, તેમના શિક્ષણ અને માનવતાના સંદેશને યાદ કરીને પોતાની ઊંડી ધાર્મિક શ્રદ્ધા વ્યક્ત કરી હતી. જૂનાગઢ શહેરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ઈદ-એ-મિલાદના દિવસે બપોરના સમયે વલી-એ-સોરઠ દરગાહ ખાતેથી ભવ્ય જુલુસનો પ્રારંભ થયો હતો. આ જુલુસ શહેરના મુખ્ય માર્ગો જેવા કે સુખનાથ ચોક, જેલ રોડ, ચિતાખાના ચોક, ઢાલ રોડ, માંડવી ચોક અને ઝાલોરાપા થઈને ઉધીવાડા ખાતે પહોંચ્યું હતું, જ્યાં સામૂહિક દુઆ બાદ જુલુસની સફળ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જુલુસમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ, મૌલવીઓ, સાદાત સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. નાના બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ પેગંબર સાહેબ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. જુલુસ દરમિયાન નાત-એ-પાક અને દરુદ-ઓ-સલામના પઠનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. માર્ગમાં વિવિધ સ્થળે જુલુસનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ધર્મગુરુઓનું ફૂલહારથી સન્માન કરી શ્રદ્ધાળુઓ માટે ન્યાઝનું આયોજન કરાયું હતું. જૂનાગઢના બલોચવાડા વિસ્તારમાં મુસ્લિમ સમાજના અગ્રણી દાદુભાઈ દરબાર દ્વારા જુલુસનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાદાત સમાજના પ્રમુખ એજાજ બાપુ સહિતના આગેવાનોનું સન્માન કરી શ્રદ્ધાળુઓને ન્યાઝનું વિતરણ કરાયું હતું. અગ્રણી દાદુભાઈ દરબારે જણાવ્યું હતું કે ઈદ-ઉલ-મિલાદ-ઉન્નબી એ પેગંબર સાહેબનો જન્મદિવસ હોવાથી દર વર્ષે અમે આ આયોજન કરીએ છીએ. આજે નીકળેલા સરઘસમાં સાદાત સમાજનું સન્માન, પ્રમુખનું ફૂલહારથી સ્વાગત, લાઈટ-ડેકોરેશન અને નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું છે. નબી-એ-પાકના જન્મનો આ દિવસ દુનિયાના દરેક ખૂણે વસતા મુસલમાનો દ્વારા ઉજવવામાં આવે છે. આપણે સૌ તેમની યાદમાં જુલૂસ કાઢીને દુઆ કરીએ છીએ કે અલ્લાહ આપણને નબી કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની શિક્ષા પર અમલ કરવાની શક્તિ આપે અને આપણા સમગ્ર દેશમાં અમન, શાંતિ અને ભાઈચારો જાળવી રાખે. આમ, જૂનાગઢમાં ઈદ-એ-મિલાદની ઉજવણી ધાર્મિક પરંપરા અને માનવતાના સંદેશ સાથે સંપન્ન થઈ હતી.
ઈદ-એ-મિલાદ નિમિત્તે ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે ભવ્ય જુલુસ યોજાયું:જૂનાગઢમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી: વલી-એ-સોરઠ દરગાહથી નીકળેલા જુલુસનું વિવિધ સ્થળે સ્વાગત, ન્યાઝ વિતરણ અને ધર્મગુરુઓનું સન્માન કરાયું
📅 Published: August 26, 2026 |
📂 Category: gujarati-news
