ઈરાનમાં ઉડાન ભરતા જ વિમાનનું ટાયર ફાટ્યું:બોઇંગ 737ના એન્જિનમાં પણ ખામી સર્જાઈ; મશહદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું

📅 Published: September 15, 2026 | 📂 Category: International

ઈરાનના મશહદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય બાદ એક વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. વિમાનનું હવામાં જ એક ટાયર ફાટી ગયું. RT અનુસાર, સેફ્રાન એરલાઇન્સના બોઇંગ 737 વિમાનનું ટાયર ફાટ્યા બાદ એન્જિનને પણ નુકસાન થયું. આને કારણે પાયલટે વિમાનને સુરક્ષિત રીતે પાછું મશહદ લઈ જવાનો નિર્ણય કર્યો. આ વિમાન મશહદથી કેરમાનશાહ જઈ રહ્યું હતું. ઘટના દરમિયાન વિમાનની અંદર બેઠેલા મુસાફરો ખૂબ ગભરાઈ ગયા. મીડિયા રિપોર્ટ અનુસાર, વિમાનમાં સવાર તમામ લોકોને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા અને કોઈના ઘાયલ થવાની જાણકારી નથી. લેન્ડિંગ દરમિયાન વિમાનની છતનો ભાગ તૂટી પડ્યો ઈરાનના રઝાવાઈ ખોરાસાન પ્રાંતની સરકારે જણાવ્યું કે આ ઘટના સ્થાનિક સમય અનુસાર સાંજે 5:39 વાગ્યે બની હતી. ઈરાની ન્યૂઝ એજન્સી આખરીન ખબરે ઘટનાનો એક વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે લેન્ડિંગ દરમિયાન વિમાનની છતનું અંદરનું એક પડ તૂટીને મુસાફરો પર પડ્યું હતું. જોકે, આ ઘટનામાં કોઈના ઘાયલ થયાની માહિતી નથી. સેફ્રાન એરલાઇન્સના પ્રવક્તા હસન જાફરીએ સરકારી ન્યૂઝ એજન્સી ફાર્સને જણાવ્યું કે તમામ મુસાફરો સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર નીકળી ગયા. ત્યારબાદ તેમને બીજી ફ્લાઇટથી કેરમાનશાહ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. દુર્ઘટના બાદ એરપોર્ટનો રનવે થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં તેને ફરીથી ખોલવામાં આવ્યો. વિમાનનું ટાયર ફાટવું કેટલું ખતરનાક? ટાયર ફાટવું એટલે જ વિમાન ક્રેશ થાય એવું નથી હોચું. વાસ્તવિક ખતરો એ વાત પર નિર્ભર કરે છે કે ટાયર ક્યારે ફાટ્યું, વિમાન ટેકઓફ કરી રહ્યું હતું કે લેન્ડિંગ, કેટલા ટાયર પ્રભાવિત થયા અને ફાટવાથી કોઈ બીજો ભાગ, જેમ કે એન્જિન કે લેન્ડિંગ ગિયર ક્ષતિગ્રસ્ત થયું કે નહીં. ટાયરના ટુકડા પણ વિમાનના બીજા ભાગોને નુકસાન પહોંચાડી શકે છે. આ જ કારણે પાયલટ આવી સ્થિતિમાં તરત જ ઇમરજન્સી પ્રક્રિયા અપનાવે છે અને જરૂર પડ્યે વિમાનને પાછું એરપોર્ટ લાવીને ઉતારે છે. વિમાનના ટાયર ફાટવાના જૂના કિસ્સાઓ… વિમાનનું ટાયર ફાટવું પહેલા પણ ઘણી વાર ગંભીર સ્થિતિ ઊભી કરી ચૂક્યું છે, પરંતુ દરેક ટાયર ફાટવાની ઘટના વિમાન દુર્ઘટનામાં બદલાતી નથી. ઓગસ્ટ 2026- અમેરિકા: લોસ એન્જલસમાં બોઇંગ 737 કાર્ગો વિમાન ઉતરતી વખતે બ્રેક લોક થઈ ગયા, જેનાથી ચારેય ટાયર ફાટી ગયા અને વિમાનની નીચે આગ લાગી ગઈ. વિમાન રનવે પર રોકાઈ ગયું અને કોઈ મોટી જાનહાનિ થઈ નહીં. મે 2024- તુર્કીયે: ગાઝીપાસા એરપોર્ટ પર કોરેન્ડન એરલાઈન્સના બોઈંગ 737નું આગળનું ટાયર લેન્ડિંગ દરમિયાન ફાટી ગયું હતું. વિમાનનું લેન્ડિંગ ગિયર પણ ક્ષતિગ્રસ્ત થયું હતું અને વિમાન રનવે પર અટકી ગયું હતું. તેમાં 184 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા અને તમામને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બોઇંગ 737 લાંબા સમયથી વિવાદમાં તાજેતરના કેટલાક અકસ્માતો અને તકનીકી ઘટનાઓને કારણે બોઇંગ 737, ખાસ કરીને 737 MAX, ની સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. 737 વિશ્વના સૌથી વધુ ઉપયોગમાં લેવાતા વિમાનોમાંનું એક છે. 2018-19માં 737 MAXના બે અકસ્માતોમાં 346 લોકોના મોત થયા બાદ વિમાનને લગભગ 20 મહિના સુધી વિશ્વભરમાં ઉડાન ભરવાથી રોકવામાં આવ્યું હતું. આ ઉપરાંત, અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ તેના સોફ્ટવેર, ફ્લાઇટ-કંટ્રોલ સિસ્ટમ અને પાયલટ તાલીમમાં ઘણા ફેરફારો જરૂરી કર્યા. આમ છતાં, 2024માં અલાસ્કા એરલાઈન્સના 737 MAX 9માં દરવાજાનો પ્લગ નીકળી જવાની ઘટના બની હતી, જેની તપાસમાં બોઇંગની ફેક્ટરીમાં તાલીમ, માર્ગદર્શન અને દેખરેખના અભાવને જવાબદાર ગણવામાં આવ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *