ઉત્તર ગુજરાતમાં નાગપંચમી બે અલગ-અલગ દિવસે ઉજવાશે:ચાણસ્માના 1200 વર્ષ જૂના મંદિરે યજ્ઞ, ધ્વજારોહણ અને પ્રસાદ

📅 Published: August 29, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસની ઉજવણી વચ્ચે ઉત્તર ગુજરાતમાં નાગપંચમીનો ઉત્સવ આ વર્ષે બે અલગ-અલગ દિવસે ઉજવાશે. દાસજ, સિદ્ધપુર, ઉનાવા, ચાણસ્મા, ધરમોડા, મુલથાણિયા, શેઢાલ, સેભરિયા અને વડાવલી સહિતના ગોગા મહારાજનાં સ્થાનકો પર 1 સપ્ટેમ્બરે નાગપંચમી મનાવાશે. જ્યારે કાસ્વા, દેત્રોજ અને ગમનપુરા સહિતના કેટલાક દેવસ્થાનોમાં 2 સપ્ટેમ્બરે આ ઉત્સવની ઉજવણી થશે. ચાણસ્માના જૂના રબારીવાસમાં આવેલા આશરે 1200 વર્ષ પ્રાચીન શેષ નારાયણ ગોગા મહારાજના સ્થાનકે મંગળવારે નાગપંચમી મહોત્સવનું આયોજન કરાયું છે. વહેલી સવારે દાદાના ચરણોમાં લઘુરુદ્ર યજ્ઞ યોજાશે, જેનું યજમાનપદ મહેન્દ્ર અમથાભાઈ દેસાઈ પરિવારે લીધું છે. યજ્ઞ બાદ ગોગા બાપાના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે અને ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરાઈ છે. આ મહોત્સવમાં ગોગા મહારાજના દર્શન માટે ચાણસ્મા ઉપરાંત મોઢેરા, બહુચરાજી, હારિજ અને પાટણ પંથકમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતા છે. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ગોગા મહારાજના સેવકો અને ભક્તો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *