શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા રામ દરબાર ગલી, ભાગ્યોદય સોસાયટી બંગલો ખાતે રોડ-રસ્તા અને ગટરના કામમાં કરાયેલી વેઠના કારણે સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.સ્થાનિકોનું કહેવું છે કે થોડા સમય પહેલાં ગટરના ઢાંકણાં તો બદલવામાં આવ્યા હતા, પરંતુ ખાડા યોગ્ય રીતે પૂરવાને બદલે માત્ર ઉપર-ઉપરથી માટી નાખીને કામ પૂરું કરી દેવાયું હતું. હલકી ગુણવત્તાવાળા કામના કારણે થોડા જ દિવસોમાં માટી બેસી ગઈ છે અને સ્થિતિ વણસીને જેસે થે થઈ ગઈ છે.
મહત્વનું છે કે બંગલોઝના મકાનના મુખ્ય ગેટની બિલકુલ સામે જ એક મોટો ખાડો પડી ગયો છે. આ માર્ગ પરથી દરરોજ નાના-મોટાં અને ભારે વાહનો પસાર થતાં હોવાથી સ્થાનિક રહીશોમાં સતત ભયનો માહોલ છે. ગેટમાંથી બહાર નીકળતી વખતે કે પગપાળા ચાલતી વખતે ખાડામાં ખાબકવાનો અને અકસ્માત સર્જાવાનો ડર ચોવીસેય કલાક સતાવી રહ્યો છે.
સ્થાનિક રહીશો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પોર્ટલ પર અવારનવાર ઓનલાઇન ફરિયાદો નોંધાવવામાં આવી છે. તેમ છતાં, પાલિકા તંત્ર કે સંબંધિત અધિકારીઓ દ્વારા અત્યાર સુધી કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી. માત્ર કાગળ પર કામગીરીબતાવીને રહીશોની સુરક્ષાને નેવે મૂકી દેવામાં આવી હોવાનો રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે.
