કોન્સ્ટેબલ જ્હાનવીને પરણિત ચેતક કમાન્ડોએ ફસાવી હતી:રૂમમાં વેબ કેમેરો ફિટ કરાવી મોબાઇલમાં લાઈવ નજર રાખતો, 4 વર્ષ પહેલા અરવલ્લીમાં બાઇક સ્ટંટ ઇવેન્ટમાં થઈ હતી મુલાકાત

📅 Published: September 19, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગરના સેક્ટર-3D વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી અને અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરની 28 વર્ષીય કોન્સ્ટેબલ જ્હાનવી ડાભીનો 15 સપ્ટેમ્બરે ગળાફાંસો ખાધેલી હાલતમાં વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જોકે પોલીસે તપાસ કરતાં એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. જેમાં ચેતક કમાન્ડો પ્રેમીના દગા અને માનસિક ત્રાસથી કંટાળીને મહિલા કોન્સ્ટેબલે અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. સેક્ટર 7ના PI એ. જી. સોલંકીએ ભાસ્કરને કહ્યું કે, ચેતક કમાન્ડો પ્રકાશ ચૌહાણના શારીરિક માનસિક ત્રાસના લીધે જ્હાનવીએ આપઘાત કર્યો હતો. પ્રકાશ એ હદે જ્હાનવીને ત્રાસ આપતો કે, તેણે જ્હાનવીના ઘરે ઓડિયો સુવિધા વાળો વેબકેમ લગાવ્યો હતો. જેનો એક્સેસ પણ પ્રકાશ પાસે હતો અને તેના મોબાઇલમાં લાઇવ જ્હાનવીની હિલચાલ પર નજર રાખતો હતો. આ બનાવ પણ પ્રકાશે લાઇવ નિહાળ્યો હોવાનું નકારી શકાય એમ નથી. પ્રકાશે તેના મોબાઇલમાંથી બધો ડેટા ડિલીટ મારી દીધો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેથી વેબકેમ તેમજ પ્રકાશ-જ્હાનવીનો મોબાઇલ FSLમાં મોકલાયો છે. આ મામલે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને મગોડીમાં રહેતા બે બાળકોના પિતા પ્રકાશસિંહ ભીખુસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. આત્મહત્યાના 48 કલાક પહેલાં ઈન્સ્ટા પોસ્ટ મુકી હતી
14 સપ્ટેમ્બરની મોડી રાત્રે મહિલા કોન્સ્ટેબલ રૂમમાંથી તીવ્ર દુર્ગંધ આવતાં મકાનમાલિકે પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા જ્હાનવીનો મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો, જેના પરથી તેણે દોઢથી બે દિવસ અગાઉ જ આત્યંતિક પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે FSLની મદદથી ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. આત્મહત્યાના 48 કલાક ‘I WISH I રાક્ષસ હતો, તમને લાગે છે કે હું AM’ (અફસોસ કે હું એવી વિલન હોત જેવી તું સમજે છે) લખી અને પોતાનો ફોટો સાથેની ઈન્સ્ટા પોસ્ટ મુકી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર) કોન્સ્ટેબલની બહેન સ્નેહલનું નિવેદન લેતાં ખુલાસો થયો
બીજી તરફ આ મામલે જ્હાનવીની ફોઇ નીતાબેન ડાભીએ જ્હાનવીને પૂર્વ પતિ ત્રાસ આપતો હોવાનો કથિત આક્ષેપ કર્યો હતો. એ વખતે નીતાબેને ખુલાસો કર્યો હતો કે, જ્હાનવીની મમ્મીના માનસિક ત્રાસના કારણે મારા ભાઈ અનિલ ડાભીએ 2013માં સુસાઈડ કર્યું હતું. આ બધા આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે પોલીસે જ્હાનવીની બહેન સ્નેહલનું નિવેદન લીધું હતું. જેમાં જહાનવીએ તેના પ્રેમી પ્રકાશસિંહ ભીખુસિંહ ચૌહાણના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાનુ બહાર આવ્યું હતું. સ્નેહલ ડાભીની ફરિયાદ આધારે જ્હાનવીને આપઘાત માટે મજબૂર કરનાર ચેતક કમાન્ડો પ્રકાશ ચૌહાણની દુષ્પ્રેરણાના ગુના હેઠળ ધરપકડ કરી લેવાઈ છે. પહેલાં પતિનું મોત, બીજા લગ્નજીવનમાં ખટરાગ
સેકટર 7ના સુત્રોએ કહ્યું કે, જ્હાનવી મૂળ અમદાવાદની વતની હતી. નાનપણમાં જ પિતાનું અવસાન થતાં અને માતાએ પુનઃલગ્ન કરી લેતાં તેનો તથા તેના ભાઈ-બહેનનો ઉછેર દાદા-દાદીના ઘરે થયો હતો. પુખ્ત વયે લવ મેરેજ કર્યા બાદ પતિનું અવસાન થતાં સામાજિક રિવાજ મુજબ જેઠ અમિત સાથે તેના લગ્ન થયા હતા. સાસરીમાં રહીને જ જ્હાનવીએ મહેનત કરી પોલીસ ખાતામાં નોકરી મેળવી હતી. જોકે, આ લગ્નજીવનમાં પણ ખટરાગ ઊભો થતાં તે અલગ રહેવા લાગી હતી. બાઇક સ્ટંટ ઇવેન્ટમાં ગઈ’ને SRPના ચેતક કમાન્ડો સાથે પરિચય
બાઇક સ્ટંટ અને ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાની શોખીન જ્હાનવી 4 વર્ષ અગાઉ અરવલ્લી ખાતે એક બાઇક સ્ટંટ ઇવેન્ટમાં ગઈ હતી. ત્યાં તેનો પરિચય મગોડી ખાતે રહેતા અને મૂળેટી SRP ગ્રુપના ચેતક કમાન્ડો પ્રકાશ ચૌહાણ સાથે થયો હતો. પ્રકાશ પરણિત અને બે બાળકોનો પિતા હોવા છતાં તેણે જ્હાનવીને લગ્નનું વચન આપી પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રકાશની ઉશ્કેરણીથી જ્હાનવીએ પતિથી કાનૂની રીતે છૂટાછેડા લઈ લીધા હતા. પ્રકાશે જ્હાનવીના રૂમમાં ઓડિયો સહિતનો વેબ કેમેરો ફિટ કરાવ્યો
પતિથી અલગ થયા બાદ પ્રકાશના વર્તનમાં અચાનક બદલાવ આવ્યો હતો. તે જ્હાનવી પર શંકા રાખી અસહ્ય ત્રાસ આપવા લાગ્યો હતો. જ્હાનવીની હિલચાલ પર નજર રાખવા તેણે સેક્ટર-3 વાળા ઘરે ઓડિયો સુવિધા ધરાવતો વેબ કેમેરો ફિટ કરાવ્યો હતો. જેનું લાઇવ એક્સેસ પ્રકાશના મોબાઇલમાં હતું. જ્હાનવીએ છેલ્લે પ્રકાશને મેસેજ કર્યા બાદ આપઘાત કર્યો
સોશિયલ મીડિયા પર 25 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતી જ્હાનવીએ ડિવોર્સ બાદ જ્યારે 13 સપ્ટેમ્બરે પ્રકાશને લગ્નની વાત કરી ત્યારે તેણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. ત્યારબાદ પ્રકાશે જ્હાનવીને સોશિયલ મીડિયા અને મોબાઈલમાં બ્લોક કરી હતી. જેના ભરોસે ઘર સંસાર તોડ્યો એ જ પ્રેમીએ હાથ અધ્ધર કરી લેતાં જ્હાનવી નાસી પાસ થઈ ગઈ હતી. જ્હાનવીને ખબર હતી કે, પ્રકાશે ભલે તેને બ્લોક કરી હોય પરંતુ તે વેબકેમથી બધું જોતો જ હશે. આઘાતમાં સરેલી જ્હાનવીએ ઘણા પ્રયાસો પછી સંપર્ક ન થતાં આખરે પ્રકાશને મેસેજ કર્યા બાદ આપઘાત કરી લીધો હતો. પ્રકાશ બીજા દિવસે મોડી સાંજે જ્હાનવીના રૂમ પર પહોંચ્યો હતો. જ્યાં પ્રકાશે જ્હાનવીનો મૃતદેહ લટકતો જોયો. પ્રકાશે નીચે જઈ મકાનમાલિકને જ્હાનવીએ ગળાફાંસો ખાધો હોવાની જાણ કરી હતી. જેથી મકાનમાલિકે પ્રકાશની પૂછપરછ શરૂ કરી તેને પકડી લીધો હતો. જોકે, પ્રકાશ પોતાને છોડાવી ત્યાંથી ભાગ્યો હતો અને બાદમાં મકાનમાલિકે પોલીસને જાણ કરી હતી. પ્રકાશ અને જ્હાનવીના ફોન FSL તપાસ માટે મોકલાયા
પ્રકાશે આખી ઘટના વેબકેમ દ્વારા લાઇવ નિહાળી હોવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. પોલીસે પુરાવાનો નાશ ન થાય તે માટે વેબ કેમેરો તેમજ પ્રકાશ અને જ્હાનવીના ફોન કબ્જે કરી FSL તપાસ માટે મોકલી આપ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *