આણંદ જિલ્લામાં પ્રદૂષણે માઝા મૂકી છે. ખંભાતના વૈણજ-આખોલના દરિયાઈ ભાઠા વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી અને ઝેરી અસરના કારણે અચાનક 7 પશુઓનાં મોત નીપજતાં પશુપાલકોમાં રોષ અને ચિંતા ફેલાઈ છે. અગાઉ ગત વર્ષે જુલાઈમાં પણ આ જ વિસ્તારમાં 13 પશુઓનાં મોત થયાં હતાં, ત્યારે એક વર્ષ બાદ પુનઃ આ ઘટનાનું પુનરાવર્તન થતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અગાઉ વટાદરા અને વત્રા સીમ વિસ્તારમાં 200 જેટલા બબ્લર પક્ષીઓના પણ રહસ્યમય સંજોગોમાં મોત થયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) હરકતમાં આવ્યું છે. દિવ્યભાસ્કરની ટીમ પ્રભાવિત વિસ્તારમાં પહોંચી હતી અને સ્થિતિની ગંભીરતા ચકાસી હતી. આ પણ વાંચો, ‘ભોપાલ ગેસ દુર્ઘટના જેવી હોનારત સર્જાશે’ વટાદરા-વત્રાના સ્થાનિકોમાં ડર 15 પશુ હજુ પણ ગંભીર
ખંભાત ગ્રામ્ય હદ વિસ્તારના વૈણજ-આખોલના ભાઠા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ 5 ભેંસો, પિન્ટુભાઈ કમાભાઈ ભરવાડના વાડામાં 1 ભેંસ અને વલ્લુભાઈ હરિભાઈ ભરવાડના વાડામાં 1 ભેંસ સહિત કુલ 7 પશુઓનાં કેમિકલની અસરથી મોત થયાં છે.હાલ 15 જેટલા અન્ય પશુઓ ગંભીર બીમારીની અવસ્થામાં છે. લક્ષણો: કેમિકલયુક્ત પાણી કે ખોરાકની અસરથી પશુઓના પેટમાં ઝેર ફેલાય છે, જેના કારણે પશુઓની ચામડી ઉખડી જવાની શરૂઆત થાય છે અને અંતે પશુ મોતને ભેટે છે. પોલીસમાં જાણવાજોગ
પશુપાલકો દ્વારા ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા બીમાર પશુઓની સારવાર હાથ ધરવામાં આવી છે, તેમજ મૃત પશુઓનું પેનલ ડૉક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરી સેમ્પલ FSLમાં મોકલી આપવામાં આવ્યા છે. પશુપાલકોની વેદના અને આક્ષેપો
સ્થાનિક પશુપાલક વલ્લુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, અહીં ભાઠા વિસ્તારમાં અનધિકૃત રીતે ચાલતા ઝીંગા અને મત્સ્ય તળાવો તેમજ કંપનીઓ દ્વારા છોડાતું કેમિકલયુક્ત પાણી પશુઓના મોતનું મુખ્ય કારણ બન્યું છે. અમારો સમગ્ર પરિવાર પશુપાલન વ્યવસાય પર નિર્ભર છે, પરંતુ કેમિકલયુક્ત પ્રદૂષણ દિનપ્રતિદિન સજીવો માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે. પશુપાલક મહિલા ચોધાર આંસુએ રડ્યાં
જબુબેને આપવીતી કરતા જણાવ્યું હતું કે, તેઓ વ્હાલસોયા બાળક કરતાં પણ વધારે પશુઓને વ્હાલ કરતી હતી અને તેમનું જીવન આ પશુઓ ઉપર જ નિર્ભર હતું.ગામમાં અંદાજે 15 કે તેથી વધુ ભેંસો કેમિકલની અસરથી ગંભીર રીતે બીમાર થઈ ગઈ છે અથવા મૃત્યુ પામી છે. અગાઉના વર્ષે પણ આ પ્રકારે 15 જેટલી ભેંસોનાં મોત થયાં હતાં.એક-એક ભેંસની અંદાજિત કિંમત દોઢથી બે લાખ રૂપિયા જેટલી છે. ગરીબ પરિવારો માટે આ નુકસાન સહન કરવું અત્યંત મુશ્કેલ બન્યું છે. કેમિકલ કંપનીઓ દ્વારા છોડવામાં આવતા દૂષિત પદાર્થો કે પ્રવાહીને કારણે આ દુર્ઘટના સર્જાઈ રહી છે, પરંતુ કોઈ યોગ્ય કાર્યવાહી કે વળતર મળતું નથી. પશુપાલકોની માગ છે કે આ મામલે યોગ્ય તપાસ કરી ન્યાય આપવામાં આવે. GPCB અને પ્રશાસનની પ્રતિક્રિયા
પશુ ચિકિત્સા અધિકારી ડૉ. ઋચિક આંજણા કહ્યું કે મૃત પશુઓનું સ્થળ પર જ પેનલ ડૉક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને ચોક્કસ કારણ જાણવા નમૂના FSLમાં મોકલાયા છે. GPCBના રીઝનલ ઓફિસર પવન શર્માએ કહ્યું કે અમારી ટીમે સ્થળ તપાસ કરી ભાઠા વિસ્તાર તેમજ આસપાસના ઝીંગા તળાવોમાંથી પાણીના સેમ્પલ મેળવીને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. ગત વર્ષની ઘટનામાં સહાય
ગત વર્ષે 23 જુલાઈએ થયેલા 13 પશુઓના મોતના FSL રિપોર્ટમાં પાણીમાં કેમિકલ હોવાનું સ્પષ્ટપણે ઉજાગર થયું હતું. ઘટના બાદ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા અસરગ્રસ્ત પશુપાલકોને પ્રતિ પશુ દીઠ રૂ. 37,500ની સહાય ચૂકવવામાં આવી હતી.
ખંભાત તાલુકો બન્યો ઘાતક, હવે 7 પશુઓના મોત, 15 ગંભીર:વૈણજ ભાઠા વિસ્તારમાં ચરતા પશુઓના ટપોટપ મોત, બે દિવસ પહેલા વટાદરા વત્રા સીમમાં 200 પક્ષીઓના મોત થયા હતા
📅 Published: August 18, 2026 |
📂 Category: gujarati-news
