ગીરસોમનાથમાં વરસાદની અછતથી ચિંતિત કિસાન સંઘની દુષ્કાળ જાહેર કરવા માગ:હિરણ-1-2માં સૌની યોજનાનું પાણી છોડવા-પાક ધિરાણ માફીની રજૂઆત

📅 Published: September 10, 2026 | 📂 Category: gujarati-news

ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં ઓછો વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી છે. મોંઘા બિયારણ, ખાતર અને દવા પાછળ ખર્ચ કર્યા પછી પાકને પૂરતું પાણી ન મળવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. આ કારણે ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય સરકારને વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું છે. જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ભરત સોજીત્રા અને જેપુર ગીર ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ નારણભાઈ બામરોટીયાએ જણાવ્યું કે, જિલ્લામાં વરસાદની સ્થિતિ ચિંતાજનક છે. આવેદનપત્રમાં 10 ઓગસ્ટ, 2020ના સરકારી ઠરાવનો ઉલ્લેખ કરીને અનાવૃષ્ટિના માપદંડ મુજબ અસરગ્રસ્ત વિસ્તારો અંગે તાત્કાલિક દરખાસ્ત કરવાની માંગ કરાઈ છે. ખેડૂતોના કહેવા મુજબ, જિલ્લાના ઘણા વિસ્તારોમાં લાંબા સમયથી સારો વરસાદ થયો નથી. આ કારણે ખરીફ પાકની સ્થિતિ બગડી શકે છે. આગામી રવિ સિઝનમાં પણ પાણીની ગંભીર સમસ્યા ઉભી થવાનો ભય છે. પાક બચાવવા માટે ડેમો અને તળાવોમાંથી જરૂરિયાત મુજબ ખેડૂતો માટે પાણી છોડવાની માંગ કરાઈ છે. ખાસ કરીને, હિરણ-1 અને હિરણ-2 ડેમમાં સૌની યોજનાનું પાણી જલ્દી છોડવા રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત, અસરગ્રસ્ત ખેડૂતોને વીજ બિલમાં રાહત આપવા, સરકારી યોજનાઓનો લાભ સરળતાથી આપવા અને પાક નિષ્ફળ જાય તો ખેડૂતોના પાક ધિરાણ માફ કરવાની પણ માંગ કરાઈ છે. પશુપાલકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને, પશુઓ માટે પીવાના પાણી અને ઘાસચારાની અગાઉથી વ્યવસ્થા કરવા માંગ કરાઈ છે. જંગલ વિસ્તારની સરહદે આવેલા ગામોના પશુઓને ચરિયાણ માટે જંગલમાં છૂટ આપવાની પણ માંગ છે. ગીર વિસ્તારમાં જંગલ અને વીડમાં ઉગતા ઘાસમાંથી 50 ટકા ઘાસ ગીરના સ્થાનિક પશુપાલકો માટે અનામત રાખવાની પણ રજૂઆત કરાઈ છે. તાલાલા પંથકની પાણીની કાયમી સમસ્યાના ઉકેલ માટે કમલેશ્વર ડેમને સૌની યોજનામાં જોડવા પણ સરકારને અલગથી રજૂઆત કરાઈ છે. આવેદનપત્રમાં આંબાજળથી કમલેશ્વર ડેમ સુધી પાણી પહોંચાડવાની ભૌગોલિક સ્થિતિ અને સૂચિત કામગીરીનો ઉલ્લેખ છે. તેમાં સર્વે કરાવીને આ ડેમને યોજના હેઠળ જોડવાની માંગ કરાઈ છે. કિસાન સંઘના કહેવા મુજબ, જો કમલેશ્વર ડેમ સૌની યોજનામાં જોડાય તો તાલાલા પંથકની માનવ વસ્તી ઉપરાંત પશુઓ અને ગીરના વન્યજીવો માટે પણ પાણીની સમસ્યા ઓછી થઈ શકે છે. ખેડૂતો અને પશુપાલકોની માંગને ધ્યાનમાં રાખીને સરકાર તાત્કાલિક રાહત આપતા પગલાં ભરે તેવી અપેક્ષા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *