17 સપ્ટેમ્બરે કોમેડિયન અને જાણીતા યુટ્યુબર ગુજ્જુ લવ ગુરુ ઉર્ફ ચંદન રાઠોડનું આકસ્મિક મોત થયું હતું. અકસ્માતને લઈને લોકોમાં જાતજાતની ચર્ચાઓ ચાલી રહી છે. વિલેજ બોયની ટીમ સાથે શૂટિંગ પતાવી ઘરે પરત ફરતાં સમયે હરિધામ ગૌશાળા નજીક બાઇકને અકસ્માત નડતાં તેમનું મોત નીપજ્યું હતું.ત્યારે ચંદનનું મોત તેની બાઈક અન્ય બાઈક સાથે અથડાતાં થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, આમાં પણ કેટલાક લોકો શંકા સેવી રહ્યા છે. કેમ કે સામે આવેલા એક વીડિયોમાં બાઈકથી ડેથબોડી 25 ફૂટ દૂર હોવાનું કહેવાઈ રહ્યું છે. સામે બાઈકચાલકને સાથળના ભાગે ઈજા થઈ હતી.જોકે, હજુ સુધી મૃતકના પરિવારજનો તરફથી FIR નોંધાવવામાં આવી નથી, તેથી પોલીસ સત્તાવાર રીતે કોઈનું નામ જાહેર કરી રહી નથી. બીજો બાઈકચાલક હોસ્પિટલે સારવાર માટે ગયો
ચંદન રાઠોડના થયેલા અકસ્માતના મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં સામસામે બે બાઈક અથડાઈ હોવાની માહિતી સામે આવી છે. ભાભર PSI એચ. એલ. જોશીના જણાવ્યા મુજબ, અકસ્માત બાદ સામેવાળો બાઈકચાલક ઘટનાસ્થળેથી નીકળી દવાખાને પહોંચ્યો હતો અને તેને સાથળના ભાગે ઈજા થઈ હોવાની માહિતી છે. અકસ્માતમાં બાઈક અને વ્યક્તિ બંને અથડામણ બાદ અલગ-અલગ દૂર ફંગોળાઈ શકે તેમ હોવાથી ઘટનાસ્થળે બાઈકથી 20-25 ફૂટ દૂર વ્યક્તિ પડેલો હોવાની બાબતને પણ પોલીસ અકસ્માતની શક્યતા સાથે જોઈ રહી છે. ‘ગુજ્જુ લવ ગુરૂ’એ મોત પહેલાં પેટ્રોલ પૂરાવ્યું, CCTV
ઘટના બાદ સીસીટીવી સામે આવ્યા છે. જેમાં અકસ્માત નડ્યો હતો, તે બાઈક પર મોતની ગણતરીની મિનિટો પહેલાં ચંદન રાઠોડ એક પેટ્રોલ પંપ પર છેલ્લીવાર પેટ્રોલ પૂરાવતા નજરે ચડ્યા હતા. વિલેજ બોયની ટીમ સાથે વીડિયો શૂટિંગ પૂર્ણ કરી પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માત પહેલાં તેઓ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતા હોવાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. પેટ્રોલ પંપથી જ્યાં અકસ્માત સર્જાયો તે સ્થળ આશરે ત્રણથી ચાર કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે. નોકરી છોડીને કોમેડીના ક્ષેત્રમાં આવ્યા
ચંદન રાઠોડનું જીવન સંઘર્ષમય હતું. મિત્રોના જણાવ્યા મુજબ તેઓ શરૂઆતમાં મોરબી નોકરી કરવા ગયા હતા, પરંતુ ત્યાંથી પરત આવ્યા બાદ કંઈક અલગ કરવાની ઈચ્છા સાથે સોશિયલ મીડિયામાં સક્રિય થયા હતા. ધીમેધીમે કોમેડી વીડિયો બનાવવાનું શરૂ કર્યું અને ‘ગુજ્જુ લવ ગુરૂ’ તરીકે તેમની ઓળખ ગુજરાતભરમાં બની હતી. તેમને ઈન્સ્ટાગ્રામ પર 18 લાખ ફોલોઅર્સ અને યુટ્યુબ પર 10 લાખ સબસ્ક્રાઈબર્સ છે. સામાન્ય પરિવારમાંથી સોશિયલ મીડિયા સુધીની સફર
સુઈગામના સામાન્ય પરિવારમાંથી આવતા ચંદન રાઠોડે પોતાની આગવી પ્રતિભાના જોરે સોશિયલ મીડિયા પર અલગ ઓળખ ઉભી કરી હતી. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના માધ્યમથી તેમણે ગુજરાતી કોમેડી વીડિયો બનાવતા અને લોકોને હસાવતા હતા. ગ્રામ્ય વિસ્તારની વાવ-થરાદ અને બનાસકાંઠા પંથકની લોકબોલી તથા સ્થાનિક ભાષાશૈલી તેમની કોમેડીની ખાસિયત બની હતી.તેમની દેશી અને સરળ કોમેડી લોકોને ખૂબ પસંદ પડતી હતી. હાસ્યની સાથે તેઓ સમાજને સાચી દિશા આપતા અને વર્તમાન હકીકતોને લોકો સુધી પહોંચાડતા સંદેશસભર વીડિયો પણ બનાવતા હતા. જેના કારણે તેમની લોકપ્રિયતા માત્ર વાવ-થરાદ કે ઉત્તર ગુજરાત પૂરતી સીમિત ન રહી, પરંતુ સમગ્ર ગુજરાતમાં તેમના ચાહકો બન્યા હતા. સાથી કલાકારે મદદની ગુહાર લગાવી
વોહતા વિલેજ બોય ઉર્ફ અમરસિંહે ચંદનના દીકરા અને દીકરીને સાથે રાખીને એક રીલ્સ બનાવી છે. જેમાં બંને બાળકોના ભવિષ્ય માટે યથાશક્તિ આર્થિક મદદ કરવાની અપીલ કરી છે. જેમાં ક્યુઆર કોડ પણ આપવામાં આવ્યો છે. સાથી કલાકારે કહ્યું- ચંદન રાઠોડે વીડિયો અપલોડ કરી શૂટિંગ ન કર્યુ
અમરસિંહ ઉર્ફે (વોહતા વાદી)એ દિવ્યભાસ્કરની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ગુજ્જુ ભાઈ અને અમે વીડિયો શૂટિંગ કરવા ગયા હતાં, ત્યાંથી ચંદન રાઠોડએ વીડિયો અપલોડ કર્યો હતો અને તેના બાદ વીડિયોનું શૂટિંગ થયું ન હતું. જેના બાદ ગુજ્જુ લવ ગુરૂ ત્યાંથી નીકળી ગયા હતાં અને વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઉચોસણ ગામના મોટરસાઈકલ સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાઈકલ પર કડિયા કામ માટે ઉપયોગમાં લેવાતાં પાટિયા સાથે ગુજ્જુ લવ ગુરૂના મોટરસાઈકલ અડી જતાં ગુજ્જુ લવ ગુરૂએ મોટરસાઈકલ પરથી કન્ટ્રોલ ગુમાવતા રોડ પર પડતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના બાદ 108 દ્વારા ભાભર ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં હાજર તબીબો દ્વારા મૃતક જાહેર કર્યો હતા. પરિવારે સ્વજન અને અમે મિત્ર ગુમાવ્યા-સાથી કલાકાર
પ્રવિણ રાઠોડે જણાવ્યું હતું કે ચંદન રાઠોડ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનું ગુજરાન ચલાવતા હતા. સોશિયલ મીડિયા ક્ષેત્રે તેમણે પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી અને સમગ્ર ગુજરાતમાં ‘ગુજ્જુ લવ ગુરુ’ નામથી જાણીતા બન્યા હતા. તેમના પિતા ખેતી કરતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ચંદનભાઈ અને પરેશભાઈ એમ બે ભાઈ તથા ત્રણ બહેનોનો પરિવાર છે. ચંદન રાઠોડને એક પુત્ર અને 10 વર્ષની પુત્રી છે. ચંદન રાઠોડના અચાનક નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોવાનું જણાવતાં પ્રવિણભાઈ રાઠોડે ભાવુક થઈ કહ્યું હતું કે, પરિવારે એક સ્વજન અને અમે મિત્ર ગુમાવ્યો છે. ભગવાને આવી દુઃખદ ઘટના સર્જી દેતાં હવે બધું જ અઘરું બની ગયું છે. રવિવારે બેસણું અને બુધવારે બારમું
હવે પરિવાર દ્વારા બેસણું અને બારમાની તારીખ જાહેર કરવામાં આવી છે. પરિવારે આપેલી માહિતી મુજબ, રવિવાર, 20 સપ્ટેમ્બરના રોજ સવારે 8 વાગ્યે બેસણું રાખવામાં આવ્યું છે. જ્યારે બુધવાર, 23 સપ્ટેમ્બરના રોજ બારમું રાખવામાં આવ્યું છે. બેસણું રાધે કૃષ્ણ મંદિરની બાજુમાં આવેલી બ્રાહ્મણવાસ શાળા, સુઈગામ ખાતે રાખવામાં આવ્યું છે. તેમના ચાહકો અને પરિચિતો પણ મોટા પ્રમાણમાં બેસણામાં પહોંચે તેવી શક્યતા છે.
આ પણ વાંચો :
‘ગુજ્જુ લવ ગુરૂ’નું અકસ્માતમાં મોત, છેલ્લે પેટ્રોલ પૂરાવ્યું, જુઓ CCTV પોતાની આગવી કોમેડીથી ગુજરાતીઓના દિલમાં સ્થાન બનાવનાર ગુજ્જુ લવ ગુરુ ઉર્ફે ચંદન રાઠોડનું ભાભર નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મોત થયું છે. શૂટિંગ પતાવી ઘરે પરત ફરતાં સમયે 17 સપ્ટેમ્બરે હરિધામ ગૌશાળા નજીક બાઇકને અકસ્માત નડતાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે આ ઘટના બાદ સીસીટીવી સામે આવ્યા છે. જેમાં અકસ્માત નડ્યો હતો તે બાઈક પર મોતની ગણતરીની મિનિટો પહેલાં ચંદન રાઠોડ એક પેટ્રોલ પંપ પર છેલ્લીવાર પેટ્રોલ પૂરાવતા નજરે ચડ્યા હતા. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
આ પણ વાંચો :
ગુજ્જુ લવ ગુરુનું અકસ્માતમાં મોત, અંતિમ યાત્રામાં પરિવારનું હૈયાફાટ રુદન વાવ-થરાદ અને સુઈગામ પંથક સહિત સમગ્ર ગુજરાતમાં પોતાની આગવી કોમેડીથી લોકોના દિલમાં સ્થાન બનાવનાર ગુજ્જુ લવ ગુરુ ઉર્ફે ચંદન રાઠોડનું ભાભર નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મોત થયું છે. 17 સપ્ટેમ્બરે ભાભરની હરિધામ ગૌશાળા નજીક બાઇકને અકસ્માત નડતાં ચંદન રાઠોડનું મોત નીપજ્યું હતું. ઢળતી સાંજે ચંદનની અંતિમયાત્રા નીકળી હતી. ગામના સ્મશાનમાં અંતિમસંસ્કાર કરાયા હતા. અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ‘ગુજ્જુ લવ ગુરૂ’ને અંતિમ વિદાય આપતી વેળાએ સમગ્ર સુઈગામ ગમગીન બન્યું હતું. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
