જૂની અદાવત પર યુવક પર હુમલો:સૂર્યા ચોક પાસે ત્રણ મહિના જૂની અદાવતમાં યુવક પર ચાર શખ્સોનો હુમલો, માથામાં ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો

📅 Published: September 5, 2026 | 📂 Category: gujarati-news

કુંભારવાડા પરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા અજય રાઠોડ નામના યુવક પર સુર્યા વાળા ચોક પાસે ત્રણ મહિના અગાઉ થયેલા સમાધાનની અદાવત રાખી ચાર શખ્સોએ હુમલો કરી ઢોર માર મારતા ભોગ બનનારની બહેન મનીષા રાઠોડે ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી મળતી વિગતો અનુસાર ગત તા.3/9 ના રોજ રાત્રિના આશરે દસ વાગ્યાના સુમારે મનીષા અને તેમનો ભાઈ અજય મોટરસાયકલ લઈને ખેડૂતવાસ બુદ્ધદેવ સર્કલ પાસે રહેતા તેમના ફોઈ જ્યોતીબેનના ઘરેથી નીકળી ખેડૂતવાસ ઢોરી તરફ જઈ રહ્યા હતા, આ દરમિયાન સૂર્યા વાળા ચોક પાસે પહોંચતા જ સુમીત બારૈયા અને શ્યામ ઉર્ફે ભૂરો બારૈયા નામના શખ્સો ત્યાં ઊભેલા હતા. અજયએ બાઈક ઊભું રાખતા જ સુમીત બારૈયાએ “ત્રણ મહિના પહેલા મારા મિત્ર સાથે બોલાચાલી થઈ ત્યારે તું શું કામ વચ્ચે સમાધાન કરાવવા આવેલો?” તેમ કહી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. અજયએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા સુમીત બારૈયા અને શ્યામ ઉર્ફે ભૂરાએ તેમની સાથે મારપીટ શરૂ કરી દીધી હતી., તેવામાં પાછળથી પરિઓ બારૈયા અને ધાર્મિક ઉર્ફે બાધો નામના અન્ય બે શખ્સો પણ આવી પહોંચ્યા હતા અને ચારેય જણાએ ભેગા મળી અજયભાઈને શરીરે આડેધડ મૂઢ માર માર્યો હતો. હુમલા દરમિયાન અજયભાઈના માથાના ભાગે ગંભીર ઈજા થતાં લોહી નીકળવા લાગ્યું હતું. બનાવને પગલે મનીષાબેન અને તેમના ફોઈએ વચ્ચે પડી અજયને વધુ મારથી બચાવ્યા હતા. ત્યારબાદ હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ભાગી છૂટ્યા હતા., ઈજાગ્રસ્ત અજયને તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે મનીષાબેને સુમીત બારૈયા, શ્યામ ઉર્ફે ભૂરો બારૈયા, પરિઓ બારૈયા અને ધાર્મિક ઉર્ફે બાઘો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *