તહેવારો સમયે સતત ત્રીજા દિવસે જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો બંધ:કિલ્લાના CCTVમાં બે દિવસ સુધી જોવા મળી દીપડાની લટાર, પાંજરા ગોઠવી વન વિભાગનું સતત મોનિટરિંગ

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

તહેવારો સમયે જ જૂનાગઢમાં ઉપરકોટનો કિલ્લો સતત ત્રીજા દિવસે પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે. 30 ઓગસ્ટે રવિવારે સાંજના સમયે અચાનક દીપડો દેખાતાં સમગ્ર પરિસરમાં ભારે અફરાતફરી અને દહેશતનો માહોલ સર્જાયો હતો. કિલ્લામાં દીપડો હોવાની આશંકા અને તેના વીડિયો સામે આવ્યા બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રવિવારે સાંજે જ આખો કિલ્લો તાત્કાલિક ખાલી કરાવીને બંધ કરી દેવામાં આવ્યો હતો. રવિવારે સાંજથી આજે 2 સપ્ટેમ્બરે કિલ્લો બંધ
રવિવારે રાત્રે કિલ્લામાં દીપડાની સત્તાવાર પુષ્ટિ થયા બાદ સોમવારથી કિલ્લો પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે બુધવારે સતત ત્રીજા દિવસે પણ ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ તેમજ સામાન્ય જનતા માટે બંધ રાખવામાં આવ્યો છે. વહીવટી તંત્ર અને વન વિભાગ માટે લોકોની સુરક્ષા સૌથી વધુ મહત્વની હોવાથી કોઈ પણ પ્રવાસી કે સ્ટાફને કિલ્લાની અંદર જવાની પરવાનગી આપવામાં આવી નથી. ​કિલ્લાના CCTVમાં બે દિવસ દીપડાની લટાર કેદ
કિલ્લા પરિસરમાં દીપડાની હાજરીને પગલે વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે. કિલ્લામાં લગાવેલા સીસીટીવી કેમેરામાં 30 ઓગસ્ટે અને 1 સપ્ટેમ્બરે રાત્રે દીપડાની લટાર અને મુવમેન્ટ સ્પષ્ટપણે જોવા મળી હતી. વન વિભાગ દ્વારા દીપડાને સલામત રીતે પકડી પાડવા કિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે તેમજ ટ્રેકિંગની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. જો કે દીપડો હજુ સુધી વન વિભાગની પકડમાં આવ્યો નથી. આ પરિસ્થિતિને કારણે વન વિભાગ અને હેરિટેજ તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં રાત-દિવસ નજર રાખવામાં આવી રહી છે. ‘દીપડો કિલ્લાની બહાર હોવાની શક્યતા’
​છેલ્લા 24 કલાકના મોનિટરિંગ અંગે સવાણી હેરિટેજના ટુરિઝમ હેડ રાજેશ તોતલાણીએ જણાવ્યું હતું કે, ગઈકાલે આખી રાત વન વિભાગ અને સ્ટાફ દ્વારા CCTV કેમેરા મારફતે સતત દેખરેખ રાખવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે ગઈકાલે આખી રાત દરમિયાન કિલ્લા પરિસરમાં દીપડાની એકપણ મુવમેન્ટ કે હિલચાલ જોવા મળી નથી. આ બાબત પરથી એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, દીપડો કદાચ કિલ્લાની સરહદ બહાર નીકળીને જંગલ વિસ્તાર તરફ જતો રહ્યો હોઈ શકે છે. પરંતુ હજુ સુધી દીપડો બહાર નીકળી ગયો હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. ​વન વિભાગથી ખાતરી મળ્યા બાદ કિલ્લો ખુલ્લો મુકાશે
હેરિટેજ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જ્યાં સુધી દીપડો પકડાઈ ન જાય અથવા તો તે કિલ્લાની બહાર નીકળી ગયો હોવાનું સંપૂર્ણ અને આખરી કન્ફર્મેશન ન મળે, ત્યાં સુધી પ્રવાસીઓની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું બાંધછોડ કરવામાં આવશે નહીં. તંત્રએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને આશ્વાસન આપ્યું છે કે, વન વિભાગ તરફથી સંપૂર્ણ સુરક્ષાની ખાતરી મળ્યા બાદ જ ઉપરકોટ કિલ્લો જાહેર જનતા અને પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *