દર પાંચ વર્ષે કરવાનો સર્વે મનપા 12 વર્ષ બાદ કરશે:વડોદરામાં જીપીએસ સિસ્ટમથી શ્વાનોની ગણતરી કરશે; 2014માં 44 હજારથી વધુ શ્વાન હતા

📅 Published: August 22, 2026 | 📂 Category: gujarati-news

વડોદરા શહેરમાં રખડતા શ્વાનોની સમસ્યાના ઉકેલ અને તેમની ચોક્કસ સંખ્યા જાણવાના હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં ‘ડોગ સેન્સસ’ (શ્વાનની ગણતરી) હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ મનપાએ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. સામાન્ય રીતે દર પાંચ વર્ષે આ સર્વે કરવાનો હોય છે, પરંતુ વડોદરા મનપા દ્વારા છેલ્લે વર્ષ 2014માં સર્વે કરાયા બાદ હવે 12 વર્ષે આ ગણતરી માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ’12 વર્ષે બાવો બોલ્યો’
સામાન્ય રીતે દર પાંચ વર્ષે સર્વેની પ્રક્રિયા કરવાની હોય છે, પરંતુ વડોદરા મનપાનો ઘાટ ’12 વર્ષે બાવો બોલ્યો’ હોય તેવો થયો છે. આ પહેલા વડોદરા મનપા દ્વારા વર્ષ 2014માં ભારત સરકારની નિર્ધારિત ગાઈડલાઈન મુજબ સાયન્ટિફિક વેથી પ્રથમ વખત સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દર પાંચ વર્ષે આ પ્રકારનો સર્વે કરવો આવશ્યક હોય છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાએ હવે મુહૂર્ત કાઢ્યું છે અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જીપીએસ સિસ્ટમથી સર્વે કરાશે
કોર્પોરેશનના અધિકારી ડો. વિજય પંચાલે જણાવ્યું કે, સર્વેની કામગીરી માટે બેથી ત્રણ વિશેષ ટીમોનું પ્લાનિંગ કરાશે. આ ટીમો જીપીએસ લોકેશન અને સેટેલાઈટ મ્યુના મેપિંગના આધારે વોર્ડ વાઈઝ, દરેક સ્ટ્રીટ અને સ્પેસિફિક લાઈન મુજબ કામ કરશે. આ કામગીરી માટે હાલમાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. ગત વખતે એક એજન્સીને આ કામગીરી આપવામાં આવી હતી. આ વખતે પણ એક એજન્સી આ કામગીરી કરશે. આગામી ત્રણ ચાર મહિનામાં આ કામગીરી કરવામાં આવશે. જીપીએસથી કેવી રીતે કરાશે ગણતરી?
મનપા દ્વારા જે એજન્સી કામ સોંપાશે તે જીપીએસ સિસ્ટમ દ્વારા કામગીરી કરશે. જે તે વિસ્તારમાં શ્વાન દેખાય તેને સેટેલાઈટ ટેકનોલોજી દ્વારા શ્વાનના લોન્ગીટ્યુડ અને લેટીટ્યુડ મેળવીને તેમને આઈડેન્ટીફાઈ કરવામાં આવશે. આ સર્વે દરમિયાન માત્ર શ્વાનની સંખ્યા જ નહીં, પરંતુ અન્ય વિવિધ પેરામીટર્સ જેવા કે કેટલા શ્વાનનુ ખસીકરણ (સ્ટેરિલાઈઝેશન) થયેલું છે અને કેટલા અનસ્ટેરિલાઈઝ્ડ છે, કેટલી ધાવણ આપતી શ્વાન (લેક્ટેટિંગ ફીમેલ્સ) છે, નાના પપીઝ કેટલા છે, તેમજ સ્કીન ડિસિઝ અથવા અન્ય બીમારી ધરાવતા શ્વાન કેટલા છે? તે તમામ બાબતોની ઝીણવટભરી વિગતો પણ એકત્રિત કરાશે. 2014માં 44,000 શ્વાન હતા
રખડતા શ્વાન અવારનવાર લોકોને શિકાર બનાવતા હોય છે. ક્યારેક તેઓના કારણે અકસ્માત સર્જાય છે તો ક્યારેક તેઓના કરડવાથી લોકોને ગંભીર ઇજા થાય છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2014-15માં સર્વે કરવામાં આવ્યો હતો, ત્યારે શહેરમાં સ્ટ્રીટ ડોગની સંખ્યા 44,000 જેટલી આંકવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષે શ્વાન પકડવા તેમજ તેની સારવાર માટે 1.20 કરોડનું બજેટ ફાળવવામાં આવે છે. છતાં રખડતા શ્વાન અવારનવાર લોકોને નિશાન બનાવી રહ્યા છે અને તેમાં કેટલાયે જીવ ગુમાવ્યો છે. 6 માસમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવશે
આ સમગ્ર સર્વેક્ષણની કામગીરી શરૂ થયા બાદ તેને આગામી ત્રણથી ચાર મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સર્વે પૂર્ણ થયા બાદ તમામ માહિતી એકત્રિત કરીને તેનો એક સાયન્ટિફિક વેથી ટેકનિકલ અહેવાલ તૈયાર કરવામાં આવશે અને આગામી છ માસની અંદર આ આખરી રિપોર્ટ સબમિટ કરી દેવામાં આવશે. રખડતા શ્વાનના યોગ્ય વ્યવસ્થાપન અને વસ્તી નિયંત્રણ માટે આ સર્વે મહત્વનો સાબિત થશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *