દાહોદમાં રોજગાર ભરતી મેળામાં 600થી વધુ યુવાનો ઉમટ્યા:13 કંપનીઓએ 323 જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ યોજી રોજગારી આપી

📅 Published: August 22, 2026 | 📂 Category: gujarati-news

દાહોદમાં જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 600થી વધુ યુવાનો ઉમટી પડ્યા હતા. આ મેળામાં 13 નામાંકિત કંપનીઓએ 323 વિવિધ જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ યોજી સ્થાનિક યુવાનોને રોજગારીની તકો પૂરી પાડી હતી. આ ભરતી મેળો જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને સ્થાનિક નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે કોલેજ કેમ્પસ ખાતે યોજાયો હતો. દાહોદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રોજગારવાંચ્છુ ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખાસ કરીને બી.એ. અને બી.કોમ.ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આ એક મહત્વપૂર્ણ તક બની રહી હતી. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના વાઇસ પ્રિન્સિપાલ હરેશ પંચાલ દ્વારા કંપનીના પ્રતિનિધિઓ અને ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે આવા ભરતી મેળા વિદ્યાર્થીઓને સીધો અનુભવ અને રોજગારીની તક પૂરી પાડે છે તેમ જણાવ્યું હતું. જિલ્લા રોજગાર કચેરીના પ્રતિનિધિ ધર્મેશ ચૌહાણે ઉમેદવારોને ભરતી પ્રક્રિયા, સરકારી પોર્ટલ પર નોંધણી અને વિવિધ રોજગારલક્ષી યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ ભરતી મેળામાં સ્થાનિક ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની કુલ 13 કંપનીઓએ ભાગ લીધો હતો. આ કંપનીઓએ તેમના એકમોમાં 323 વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા હતા. ઉમેદવારોની લાયકાત અને કૌશલ્યના આધારે તેમની પસંદગી કરવામાં આવી હતી. સમગ્ર આયોજનમાં કોલેજના આચાર્ય બી.આર. બોદરના માર્ગદર્શન હેઠળ પ્રાધ્યાપકોની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉદિશા પ્લેસમેન્ટ સેલના લાલજીભાઇ પરમાર, ઉત્તમ જાદવ, ગૌતમ સંગાડા અને ઇતલીબેન દ્વારા ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી આયોજનને સફળ બનાવવામાં આવ્યું હતું. ભરતી પ્રક્રિયાનું સંચાલન મેઘા ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે ઉમેદવારોને વિવિધ કંપનીઓના ડેસ્ક સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. દિવસભર ચાલેલા આ ભરતી મેળામાં યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે જીતેન્દ્ર વણઝારાએ આયોજનને સફળ બનાવનાર તમામ સંસ્થાઓ, કંપનીઓના પ્રતિનિધિઓ અને સહભાગી ઉમેદવારોનો આભાર વ્યક્ત કર્યો હતો. દાહોદમાં થયેલા આ સફળ આયોજનથી અનેક સ્થાનિક યુવાનોને રોજગારીની સુવર્ણ તક પ્રાપ્ત થઈ છે, જેનાથી ભવિષ્યમાં આવા વધુ કાર્યક્રમો યોજાશે તેવી આશા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *