દેવગઢ બારીઆમાં મકાઈ-સોયાબીન પાક સંરક્ષણ તાલીમ યોજાઈ:25 ખેડૂતોને વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મળ્યું

📅 Published: August 22, 2026 | 📂 Category: gujarati-news

દેવગઢ બારિયામાં મકાઈ અને સોયાબીન પાક સંરક્ષણ વિષયક એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આણંદ કૃષિ યુનિવર્સિટી હસ્તકના આદિવાસી સંશોધન-વ-તાલીમ કેન્દ્ર દ્વારા આયોજિત આ શિબિરમાં આસપાસના ગામોના ૨૫ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો.કાર્યક્રમના પ્રારંભે કેન્દ્રના વડા ડૉ. એસ. એસ. થોરાતે ખેડૂતોને પાક સંરક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે પાકને જીવાતોથી બચાવવા માટે સંકલિત જીવાત નિયંત્રણ પદ્ધતિઓ અપનાવવા પર ભાર મૂક્યો હતો. ડૉ. સી. જે. પટેલે મકાઈ અને સોયાબીન પાકમાં નુકસાન કરતી મુખ્ય જીવાતો અને રોગોની ઓળખ કરવા અંગે વિગતવાર માહિતી આપી હતી, જેથી ખેડૂતો સમયસર યોગ્ય પગલાં લઈ શકે. પ્રાકૃતિક ખેતીના વધતા મહત્વને ધ્યાનમાં રાખીને, ડૉ. જી. કે. ભાભોરે પ્રાકૃતિક ખેતી આધારિત પાક સંરક્ષણ પદ્ધતિઓ અને વિવિધ કુદરતી ઉપચારો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલીમના વ્યવહારુ ભાગરૂપે, બી.ટી.એમ. બારિયા બુધાભાઈ દ્વારા પ્રાકૃતિક કીટનાશક નીમાસ્ત્ર બનાવવાની રીત અને તેના ઉપયોગનું પ્રાયોગિક નિદર્શન કરાયું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતોને પાકમાં આવતા રોગ અને જીવાતની સમયસર ઓળખ કરી વૈજ્ઞાનિક તેમજ પ્રાકૃતિક પદ્ધતિઓ દ્વારા તેનું સચોટ નિયંત્રણ કરવા માટે પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમના અંતે યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં ખેડૂતોએ કૃષિ નિષ્ણાતો સાથે ચર્ચા કરી પોતાની સમસ્યાઓનું નિરાકરણ મેળવ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *