પશ્ચિમ કચ્છના નખત્રાણા શહેરમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે. તહેવારોના દિવસોમાં શહેરમાં લોકોની ભીડ વધે છે. તેના કારણે મુખ્ય માર્ગો પર કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સમસ્યા માત્ર વાહનોની સંખ્યા વધવાથી નથી, પરંતુ રોડ પર આડેધડ પાર્કિંગ અને નિયમોના પાલન ન થવાને કારણે પણ છે. સાતમ-આઠમના તહેવારો દરમિયાન રવિવારે સવારે નખત્રાણાના વથાણથી બસ સ્ટેશન અને જૂની કલેક્ટર કચેરી સુધીના રસ્તા પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. વથાણ વિસ્તારમાં કેટલાક ફોરવ્હીલર વાહનો રસ્તાની વચ્ચે અથવા અડધી જગ્યા રોકીને પાર્ક કરાયા હતા. તેનાથી વાહનચાલકોને પસાર થવામાં ઘણી મુશ્કેલી પડી હતી. ટુ-વ્હીલરચાલકો, ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધો માટે રસ્તો કાઢવો મુશ્કેલ બન્યો હતો. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે ટ્રાફિક નિયમો તોડનારા નાના વાહનચાલકો સામે કાર્યવાહી થાય છે. પરંતુ પ્રભાવશાળી લોકો દ્વારા થતા બેફામ પાર્કિંગ સામે તંત્ર કેટલી કડક કાર્યવાહી કરે છે, તે એક સવાલ છે. નગરજનોનું કહેવું છે કે માત્ર દંડ કરવાથી નહીં, પરંતુ બધા માટે સમાન નિયમો લાગુ કરવાથી જ ટ્રાફિક વ્યવસ્થા સુધરી શકે છે. નખત્રાણા શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ કર્મચારીઓ, ટીઆરબી અને જીઆરડીના જવાનો પણ ફરજ બજાવે છે. જોકે, ભીડના પ્રમાણ સામે વ્યવસ્થા અપૂરતી હોવાની ફરિયાદો છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે વારંવાર થતી ટ્રાફિક સમસ્યા માટે બાયપાસનો મુદ્દો આગળ કરાય છે. પરંતુ શહેરની અંદર તાત્કાલિક જરૂરી ટ્રાફિક મેનેજમેન્ટ પર પૂરતું ધ્યાન અપાતું નથી. પશ્ચિમ કચ્છના મહત્વના માર્ગો પૈકીના એક નખત્રાણામાં જો સમયસર યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા નહીં કરાય તો ભવિષ્યમાં ગંભીર અકસ્માતની શક્યતા છે. હવે નગરજનોની નજર નખત્રાણા ટ્રાફિક પોલીસ અને વહીવટી તંત્ર પર છે. તેઓ કાયમી ઉકેલ માટે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી ક્યારે કરે છે, તે જોવું રહ્યું.
નખત્રાણાના મુખ્ય માર્ગો પર વાહનોનું બેફામ પાર્કિંગ:તહેવારોમાં ટ્રાફિક જામથી લોકો પરેશાન, તંત્રની કામગીરી સામે સવાલો
📅 Published: September 6, 2026 |
📂 Category: gujarati-news
