નવસારીમાં ભ્રષ્ટાચારના સમાચાર ન છાપવા અને મામલો થાળે પાડવા માટે ₹51,000ની લાંચ માંગનાર એક પત્રકારને ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. ACBની ટીમે ગ્રીડ ચાર રસ્તા પાસે આવેલી સરોવર કાઠીયાવાડી હોટેલમાં છટકું ગોઠવી પત્રકાર સતશંકર રામચરિત્ર મિશ્રા ઉર્ફે મુન્નાભાઈને લાંચની રકમ સ્વીકારતા જ દબોચી લીધો હતો. મળતી માહિતી મુજબ, પત્રકાર મુન્નાભાઈ મિશ્રાએ એક જાગૃત નાગરિક વિરુદ્ધ સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરતા સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. આ ઉપરાંત, તેમણે આ કામોના સરકારી રેકોર્ડ મેળવવા માટે RTI હેઠળ અરજી પણ કરી હતી.ત્યારબાદ પત્રકાર મુન્નાભાઈ મિશ્રાએ ફરિયાદી પાસે વધુ સમાચાર ન છાપવા અને મામલો ‘સાચવી લેવા’ના અવેજ પેટે ₹51,000ની સ્પષ્ટ માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેમણે નવસારી ACB પોલીસ સ્ટેશન ખાતે પત્રકાર વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, નવસારી ACBના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. સોલંકી અને તેમની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. છટકા મુજબ, સરોવર કાઠીયાવાડી હોટેલ ખાતે આરોપી પત્રકાર સતશંકર મિશ્રાએ ફરિયાદી પાસેથી ₹51,000ની લાંચની રકમ માંગીને સ્વીકારી હતી. તે જ સમયે, ACBની ટીમે દરોડો પાડી આરોપીને લાંચની પૂરેપૂરી રકમ સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. ACBએ લાંચ પેટે લીધેલા પૂરેપૂરા ₹51,000 રિકવર કરી આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નવસારીમાં પત્રકાર ₹51,000ની લાંચ લેતા ઝડપાયો:ભ્રષ્ટાચારના સમાચાર ન છાપવા માટે માંગી લાંચ, ACB ટ્રેપમાં પકડાયો
📅 Published: August 24, 2026 |
📂 Category: gujarati-news
