નવસારી મહાનગરપાલિકાના ટાઉનહોલ ખાતે યોજાયેલી સામાન્ય સભામાં બેઠક વ્યવસ્થાને લઈને વિવાદ સર્જાયો હતો. વોર્ડ નંબર 4ના કોંગ્રેસી નગરસેવકોને આગળ ટેબલ અને નોંધ કરવા માટે સ્ટેશનરી ન ફાળવાતા વિપક્ષે રોષ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના સભ્યોને બેસવા માટે માત્ર ખુરશીઓ આપવામાં આવી હતી, જ્યારે તેમને આગળ ટેબલ કે નોંધ કરવા માટે પેન-પેપર મળ્યા ન હતા. આ ઘટનાને કારણે વિપક્ષી સભ્યોએ શાસક પક્ષના વહીવટી આયોજન સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. મળતી માહિતી મુજબ, નવસારી ટાઉનહોલમાં માત્ર 50 સભ્યો બેસી શકે તેટલા જ ટેબલની વ્યવસ્થા છે. આ કારણે વિપક્ષી સભ્યોને છેલ્લી હરોળમાં બેસવું પડ્યું હતું, જ્યાં તેમને યોગ્ય સુવિધાઓ મળી ન હતી. કોંગ્રેસી સભ્યોએ સવાલ ઉઠાવ્યો હતો કે શું મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના પ્રતિનિધિઓ માટે યોગ્ય બેઠક વ્યવસ્થા કરવાનું પણ આયોજન નથી? સામાન્ય સભા પૂર્ણ થયા બાદ વોર્ડ નંબર 4ના મહિલા નગરસેવિકા પ્રભાબેન વલસાડિયાએ મેયર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, “અમે માત્ર 5 મિનિટ મોડા પહોંચ્યા તો અમને છેલ્લી હરોળમાં જાણે અછૂત હોય તે રીતે બેસાડી દેવાયા. અમારી પાસે ડેસ્ક નહોતું, કંઈ વાંચવું કે લખવું હોય તો કોઈ સાધન નહોતું, માત્ર ખુરશી આપી દીધી.” વલસાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, “આ શાસક પક્ષની સંકુચિત માનસિકતા દર્શાવે છે કે તેમને વિપક્ષ કે અન્ય કોઈ માટે માન-સન્માન નથી. શાસકોને પ્રજાના કામો કે વ્યવસ્થામાં નહીં પણ માત્ર ભ્રષ્ટાચારમાં રસ છે.” તેમણે ચેતવણી આપી હતી કે જો આગામી સામાન્ય સભામાં બેસવાની પૂરતી અને યોગ્ય વ્યવસ્થા નહીં કરાય તો તેઓ હોલમાં નીચે જમીન પર બેસીને વિરોધ પ્રદર્શન કરશે.
નવસારી મનપા સભા: કોંગ્રેસી નગરસેવકોને ટેબલ-સ્ટેશનરી ન મળ્યા:બેઠક વ્યવસ્થા મુદ્દે વિવાદ, મહિલા સદસ્યએ વિરોધ નોંઘાવ્યો
📅 Published: August 31, 2026 |
📂 Category: gujarati-news
