પાટણની શાળાની વિદ્યાર્થિનીઓએ જવાનો માટે રાખડી મોકલી:યુવા ફાઉન્ડેશને દેશભક્તિ કાર્યક્રમ બદલ શાળાનું સન્માન કર્યું

📅 Published: August 20, 2026 | 📂 Category: gujarati-news

પાટણની નૂતન વિનય મંદિર ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થિનીઓએ રક્ષાબંધન પર્વ નિમિત્તે સરહદ પર તૈનાત જવાનો માટે રાખડીઓ અને પત્રો મોકલ્યા હતા. આ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમ બદલ યુવા ફાઉન્ડેશન દ્વારા શાળાને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. રક્ષાબંધન પર્વ નિમિત્તે દેશના વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શાળામાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. યુવા ફાઉન્ડેશનના પ્રતિનિધિ ધ્રુમિત પ્રજાપતિની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીનીઓને જવાનો માટે રાખડી અને પત્ર લખવાનું આહ્વાન કરાયું હતું. આ આહ્વાનને સ્વીકારીને શાળાની તમામ વિદ્યાર્થિનીઓએ સ્વખર્ચે સુંદર રાખડીઓ મેળવી અને હાથથી પત્રો લખી દેશપ્રેમ તથા આદર વ્યક્ત કર્યો હતો. પત્રોમાં વિદ્યાર્થિનીઓએ જવાનોના અથાક પરિશ્રમ, ત્યાગ અને સમર્પણને કારણે દેશવાસીઓ સુરક્ષિત હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપક્રમનો મુખ્ય હેતુ જવાનોનું મનોબળ વધારવાનો તેમજ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના અને સામાજિક ઉત્તરદાયિત્વ દ્રઢ કરવાનો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના શિક્ષક ગૌરવભાઈ અને આચાર્યએ સક્રિય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના આ સરાહનીય કાર્ય બદલ યુવા ફાઉન્ડેશન દ્વારા શાળાને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓ, શિક્ષક ગૌરવભાઈ અને યુવા ફાઉન્ડેશનનો આભાર માની અભિનંદન પાઠવ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *