પાટણ જિલ્લામાં ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ અને પાટણ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના ઉપક્રમે “શિક્ષણ સેવા સંગઠન પર્વ-૨૦૨૬” ની ઉજવણી કરવામાં આવી હતી. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલી આ ચિંતન બેઠકમાં અંદાજે 600 થી વધુ સારસ્વત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ સાથે સંકળાયેલા સેવકથી લઈને સંચાલક સુધીના સૌ એક પરિવાર તરીકે કામ કરે અને પોતાની શાળામાં ગુણવત્તાસભર શિક્ષણની ઉપલબ્ધિ થાય તે બાબતે વિશદ ચર્ચા કરવાનો હતો.આ સમારોહમાં ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ શંકરસિંહ રાણાએ પ્રેરક ઉપસ્થિતિ આપી હતી. તેમણે પોતાના ઉદબોધનમાં સંગઠનની એકતા પર ભાર મૂક્યો હતો. રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલે વર્તમાન સમયના પડકારો સામે કેવી રીતે કામ લેવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે શિક્ષણ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓથી લઈને છેવાડાની શાળા સુધી જીવંત સંપર્ક રાખી સંગઠનને મજબૂત બનાવવા હાકલ કરી હતી. આચાર્ય સંઘના મહામંત્રી ભરતભાઈ ચૌધરીએ પડતર પ્રશ્નોની વિસ્તૃત છણાવટ કરી સૌ કર્મચારીઓને માહિતગાર કર્યા હતા. રાજ્ય આચાર્ય સંઘના પ્રવક્તા ઉમેશભાઈ પટેલ, ગુજરાત રાજ્ય વહીવટી મહામંડળના ઉપપ્રમુખ આનંદભાઈ ત્રિવેદી અને માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ બાબુભાઈ ચૌધરીએ પણ પોતાના વક્તવ્યમાં શિક્ષકોને સંગઠિત રહી ‘સંધે શક્તિ: કલૌ યુગે’ ના સૂત્રને ચરિતાર્થ કરવા અપીલ કરી હતી. આ સંગઠન પર્વ-૨૦૨૬ ની ઉજવણીની સમગ્ર જવાબદારી પાટણ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ ડૉ. મનીષભાઈ પટેલે નિભાવી હતી, જેમણે સૌ મહેમાનોને આવકારી પરિચય આપ્યો હતો. પાટણ જિલ્લા સંચાલક મંડળ, આચાર્ય સંઘ, ઉ.મા. શિક્ષક સંઘ, માધ્ય. શિક્ષક સંઘ અને વહીવટી કર્મચારી સંઘના પ્રમુખો, મહામંત્રીઓ તથા સૌ હોદ્દેદારોએ બહોળી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહે તે માટે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમમાં રાજ્ય મહામંડળના સૌ માર્ગદર્શક મહાનુભાવોએ હાજર રહી પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. બોર્ડ મેમ્બર જશવંતભાઈ કે. રાવલે સૌ આયોજકો સહિત મહેમાનોનો આભાર માન્યો હતો.
પાટણમાં શિક્ષણ સેવા સંગઠન પર્વ-2026 ની ઉજવણી:યુનિવર્સિટી હોલમાં ચિંતન બેઠક, 600 થી વધુ સભ્યો ઉપસ્થિત
📅 Published: August 30, 2026 |
📂 Category: gujarati-news
