પીએમ નરેન્દ્ર મોદી બે દિવસના ઉઝબેકિસ્તાન પ્રવાસે છે. આજે પીએમ તાશ્કંદમાં શાસ્ત્રી મેમોરિયલ અને મહાત્મા ગાંધી સેન્ટરની મુલાકાત લેશે. વડાપ્રધાન તરીકે આ તેમનો ચોથો ઉઝબેકિસ્તાન પ્રવાસ હશે. તાશ્કંદમાં મોદી અને રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવ વચ્ચે બેઠક યોજાશે. તેમાં વેપાર, રોકાણ, સંરક્ષણ, ઊર્જા, શિક્ષણ અને પરસ્પર સહયોગ વધારવા પર ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં ભારતના વિકસિત ભારત 2047 અને ઉઝબેકિસ્તાન-2030 વિઝન હેઠળ સહયોગ વધારવાના નવા રસ્તાઓ પર પણ વાત થશે. ત્યારબાદ તેઓ કિર્ગિસ્તાનના બિશ્કેક જવા રવાના થશે. મોદીનો ઉઝબેકિસ્તાન પ્રવાસ, 4 તસવીરો કિર્ગિસ્તાન પ્રવાસ: મોદી SCO સમિટમાં સામેલ થશે, જિનપિંગ-પુતિન સાથે મુલાકાત ઉઝબેકિસ્તાન પ્રવાસ બાદ વડાપ્રધાન મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં રહેશે. અહીં તેઓ SCOની 26મી સમિટમાં ભાગ લેશે. ભારત 2017થી SCOનું પૂર્ણ સભ્ય છે. સમિટમાં સુરક્ષા, આતંકવાદ, વેપાર, કનેક્ટિવિટી અને આર્થિક સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. સમિટ દરમિયાન મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અન્ય દેશોના નેતાઓ સાથે મુલાકાત થઈ શકે છે. મોદી બિશ્કેકમાં યોજાનારી 6ઠ્ઠી વર્લ્ડ નોમેડ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપશે. ભારત માટે આ પ્રવાસ શા માટે મહત્ત્વનો છે; 4 મુદ્દા 1. ખનિજોનો ભંડાર: ભારત લાંબા સમયથી મધ્ય એશિયાના દેશો સાથે પોતાના સંબંધો મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. મધ્ય એશિયા તેલ, ગેસ, યુરેનિયમ અને અન્ય મહત્વપૂર્ણ ખનિજોનો મોટો ભંડાર છે. 2. ઊર્જા જરૂરિયાત: ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે આ ક્ષેત્રના દેશો સાથે સહયોગ વધારવા માગે છે. 3. નવા બિઝનેસ રૂટ: ભારત મધ્ય એશિયાના દેશો સાથે વેપાર પણ વધારવા માગે છે. તેના માટે તે નવા વેપાર અને પરિવહન માર્ગો વિકસાવવા પર કામ કરી રહ્યું છે. 4. આતંકવાદ વિરુદ્ધ અભિયાન: અફઘાનિસ્તાનની સ્થિતિ અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર પણ ભારત આ દેશો સાથે સહયોગ વધારી રહ્યું છે. વડાપ્રધાન મોદીના છેલ્લા 3 ઉઝબેકિસ્તાન પ્રવાસો 2015: વડાપ્રધાન બન્યા પછી મોદી પહેલીવાર ઉઝબેકિસ્તાન પહોંચ્યા હતા. આ પ્રવાસમાં બંને દેશોએ વેપાર, ઊર્જા અને સુરક્ષા સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. 2016: મોદી તાશ્કંદમાં SCO સમિટમાં સામેલ થયા હતા. આ જ સંમેલન દરમિયાન ભારતને સંગઠનની પૂર્ણ સદસ્યતા આપવાની પ્રક્રિયા આગળ વધી હતી. ભારત 2017માં SCOનું પૂર્ણ સભ્ય બન્યું. 2022: મોદી સમરકંદમાં SCO સમિટમાં સામેલ થયા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે તેમણે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું હતું કે, ‘આજનો યુગ યુદ્ધનો નથી.’ તેમનું આ નિવેદન દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યું હતું. હવે SCO વિશે જાણો, 2001માં તેની સ્થાપના થઈ હતી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) એક પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય સંગઠન છે જેની સ્થાપના 2001 માં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગીઝસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાને મળીને કરી હતી. બાદમાં ભારત અને પાકિસ્તાન 2017 માં તેમાં જોડાયા. 2023 માં ઈરાન પણ તેનું સભ્ય બન્યું. SCO નો ઉદ્દેશ્ય સભ્ય દેશો વચ્ચે સુરક્ષા, આર્થિક અને રાજકીય સહયોગ વધારવાનો છે. સંગઠન આતંકવાદ, ઉગ્રવાદ, ડ્રગ તસ્કરી અને સાયબર અપરાધ જેવા મુદ્દાઓ પર સંયુક્ત રણનીતિ બનાવે છે.
પીએમ મોદી આજે તાશ્કંદમાં શાસ્ત્રી મેમોરિયલ જશે:રાષ્ટ્રપતિ મિર્ઝીયોયેવ સાથે દ્વિપક્ષીય બેઠક, વેપાર અને રોકાણ પર વાતચીત થશે
📅 Published: August 30, 2026 |
📂 Category: International
