પૂર્વ કેન્દ્રીય સચિવ આરવીએસ મણીના યુપીએ પર પ્રહાર:નવસારીમાં રાષ્ટ્ર સુરક્ષા સંવાદ કાર્યક્રમમાં કહ્યું,- રાષ્ટ્રની સુરક્ષા અને વિકાસ UPAના સમયમાં જોખમમાં હતા

📅 Published: September 13, 2026 | 📂 Category: gujarati-news

પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ આરવીએસ મણીએ નવસારીમાં આયોજિત ‘રાષ્ટ્ર સુરક્ષા સંવાદ’ કાર્યક્રમમાં યુપીએ સરકારની આંતરિક સુરક્ષા નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. સુરત લિટરરી ફાઉન્ડેશન અને જીએપીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે કોઈપણ દેશનો વિકાસ તેની આંતરિક અને બાહ્ય સુરક્ષા પર નિર્ભર છે. વર્તમાન સરકાર રાષ્ટ્ર સુરક્ષાને પ્રાથમિકતા આપી રહી હોવાથી ભારત ઝડપથી વિકાસ સાધી રહ્યું છે. ભગવા આતંકવાદના નેરેટિવનો પર્દાફાશ
‘હિન્દુ આતંકવાદ એક મિથ્યા’ પુસ્તકના લેખક આરવીએસ મણીએ આરોપ લગાવ્યો હતો કે યુપીએ શાસન દરમિયાન આતંકવાદ અને પાકિસ્તાન પ્રત્યે નરમ વલણ દાખવવામાં આવતું હતું. તેમણે બાટલા હાઉસ, અસીમાનંદ અને સાધ્વી પ્રજ્ઞા કેસના માધ્યમથી ‘ભગવા આતંકવાદ’નું નેરેટિવ રચવાનો પ્રયાસ થયાનું જણાવ્યું હતું. ખાસ કરીને ઇશરત જહાં કેસમાં એફિડેવિટ પાછું ખેંચવા માટે તેમના પર દબાણ અને પ્રલોભનો અપાયા હોવાનો પણ દાવો કર્યો હતો. 26/11 હુમલા અને ઇન્ટેલિજન્સ નિષ્ફળતા
તેમણે વધુમાં ઉમેર્યું કે 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલા સમયે કોસ્ટગાર્ડ અને ઇન્ટેલિજન્સ ઇનપુટ્સને નકારી કાઢીને આતંકવાદીઓની બોટને ભારતીય જળસીમામાં પ્રવેશવા દેવાની ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી. આ ઉપરાંત, તત્કાલીન નાણા મંત્રી ચિદમ્બરમની ઈચ્છા વિરુદ્ધ જઈને આતંકવાદને ફંડિંગ કરતી પાકિસ્તાનની બેંકને રાજદ્વારી રીતે રોક્યા બાદ પોતાની સામે કાનૂની અને વ્યક્તિગત સ્તરે આકરા પગલાં લેવાયા હોવાના આરોપો પણ તેમણે લગાવ્યા હતા. વર્તમાન શાસનમાં આંતરિક સુરક્ષા મજબૂત
પાછલી અને વર્તમાન સરકાર વચ્ચે તુલના કરતા તેમણે જણાવ્યું કે ભૂતકાળમાં કાશ્મીરમાં હુરિયત, પૂર્વોત્તરમાં વિદ્રોહી જૂથો અને દેશમાં વારંવાર આતંકવાદી હુમલા થતા હતા. આજે સ્થિતિ બદલાઈ છે અને કલમ 370 નાબૂદી બાદ નક્સલવાદ તેમજ હુરિયતનો લગભગ અંત આવ્યો છે. 31 ડિસેમ્બર 2014 પછી દેશમાં આવા મોટા આતંકવાદી હુમલાઓ થવા દીધા નથી, જે સરકારની દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ દર્શાવે છે. દેશમાં આતંકવાદ સામે સુરક્ષિત માહોલ
સરકારના દ્રઢ મનોબળ અને યોગ્ય રણનીતિના કારણે દેશમાં આંતરિક સુરક્ષા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકાયું છે. નક્સલવાદને જડમૂળથી ઉખાડી ફેંકવાની નીતિના કારણે આજે ભારત દરેક ક્ષેત્રમાં અતુલ્ય વિકાસ સાધી રહ્યું છે. દેશમાં સુરક્ષિત માહોલનું નિર્માણ થતાં નાગરિકોમાં રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે પ્રબળ વિશ્વાસ અને આશાવાદ ઊભો થયો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *