સિટી સિવિલ અને સેશન્સ કોર્ટ ખાતે આવેલી ACB ની વિશેષ અદાલતે રેસિડન્ટ એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસની જામીન અરજી નકારી નાખી છે. તેની સામે ACB પોલીસ મથકે ચાલુ વર્ષે ગુન્હો નોંધાયેલો છે. તેની ઉપર થયેલા આક્ષેપ મુજબ અરજદારે પોતાના સરકારી હોદ્દાનો દુરૂપયોગ કરીને પોતાની કાયદેસરની આવક કરતાં 3.56 કરોડ જેટલી વધુ ચલ અને અચલ મિલકતો પોતાના અને સગાં-સંબંધીઓના નામે ગેરકાયદેસર રીતે વસાવી છે. ACB ની એફિડેવિટ અનુસાર અરજદારે ધરપકડથી બચવા માટે લાંબા સમય સુધી ACB સમક્ષ હાજર ન થઈને તપાસ ટાળવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાંથી આગોતરા જામીન રદ થયા બાદ CID ક્રાઈમ દ્વારા તેની ધરપકડ કરીને સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. તપાસ હજુ અત્યંત મહત્વના તબક્કે ચાલુ છે અને ચાર્જશીટ ફાઇલ કરવાનું બાકી છે. કેતકી વ્યાસના પતિની આવકને ધ્યાનમાં નથી લેવાઈ- અરજદારના વકીલ
અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે અરજદાર મહિલા નિર્દોષ છે, તેમને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવ્યા છે અને તેમની સામે પ્રથમ દર્શનીય કોઈ કેસ બનતો નથી. પૂર્વ તપાસની મંજૂરી મળ્યાના લગભગ 2 વર્ષ અને 8 મહિના પછી FIR નોંધવામાં આવી છે. અરજદારના માતા-પિતા વિરમગામ રહે છે અને તેઓ પોતાની અલગ આવક અને રોકાણ ધરાવે છે. અરજદારના પતિ જેઓ પણ પોલીસ વિભાગમાં સરકારી કર્મચારી છે. તેઓની તપાસ સમયગાળા દરમિયાનની આશરે 89 લાખ દસ્તાવેજી આવક ધ્યાને લેવામાં આવી નથી. ACB દ્વારા ગણેલી 68.84 % ની રકમ કાલ્પનિક અને બજાર કિંમતના આધારે ગણેલી ભૂલભરેલી આંકડાકીય ગણતરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન અરજદાર 7 વખત ACB ઈન્સ્પેક્ટર સમક્ષ હાજર થયા હતા અને ખુલાસા આપ્યા હતા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના સર્ટિફિકેટ સાથે સમરી સ્ટેટમેન્ટ પણ રજૂ કર્યા હતા. અરજદારને સરકારી સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હોવાથી હવે તે હોદ્દાનો દુરુપયોગ કરી પુરાવા સાથે ચેડાં કરી શકે તેમ નથી. વધુમાં, તેમણે પોતાના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજૂ કર્યા હતા. આ સમાચાર પણ વાંચોઃ પૂર્વ અધિક કલેક્ટરના અમદાવાદમાં બે આલિશાન ફ્લેટ અને કરોડોનો બંગલો ગેરકાયદે સંપત્તિના ગુના પ્રજાના સરકારી તંત્ર પરના વિશ્વાસને સીધું નુકસાન પહોંચાડે- કોર્ટ
કોર્ટે નોંધ્યું હતું કે આર્થિક અને ગેરકાયદે સંપત્તિના ગુનાઓ પ્રજાના સરકારી તંત્ર પરના વિશ્વાસને સીધું નુકસાન પહોંચાડે છે અને સમાજ પર તેની વ્યાપક અસર પડે છે. અરજદાર મહેસૂલી કાયદાથી માહિતગાર વર્ગ-01 ના જવાબદાર અધિકારી હોવા છતાં ACB ની તપાસથી દૂર રહ્યા હતા. આ વર્તનને કારણે જામીન પર મુક્ત કરવાથી ટ્રાયલ વખતે ભાગી જવાની શક્યતા નકારી શકાય નહીં. અરજદારે રજૂ કરેલા આવક અને રોકાણના દસ્તાવેજો પર અરજદાર કે CA ના સહી-સિક્કા ન હોવાથી તેની અધિકૃતતા અત્યારે માની શકાય નહીં; આ તમામ દલીલોનો નિર્ણય ટ્રાયલના અંતે જ થઈ શકે. વિવિધ સ્થળોએ ખરીદેલી મિલકતો અને બેંક એકાઉન્ટના વ્યવહારો અંગે યોગ્ય તપાસ માટે અરજદારની કસ્ટોડિયલ પૂછપરછની જરૂરી છે. અરજદારે રજૂ કરેલા કાનૂની ચુકાદાઓના તથ્યો આ કેસની પરિસ્થિતિ કરતાં અલગ હોવાથી તે અરજદારને મદદરૂપ બનતા નથી. અરજદાર સામે પ્રથમ દર્શનીય રીતે ગુનામાં સંડોવણી જણાતી હોવાથી અને તપાસ ચાલુ હોવાથી, અદાલતે પોતાની વિવેકાધીન સત્તાનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો છે. આમ કોર્ટે અરજદાર કેતકી વ્યાસને જામીન આપવા ઇનકાર કર્યો છે.
પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી રદ:કોર્ટે કહ્યું- ગેરકાયદે મિલકતના ગુના સરકારી તંત્ર પર પ્રજાના વિશઅવાસને સીધું નુકસાન પહોંચાડે છે
📅 Published: September 1, 2026 |
📂 Category: gujarati-news
