પોરબંદર મહાનગરપાલિકાની અપીલ, ગણેશ મૂર્તિનું વિસર્જન કૃત્રિમ કુંડમાં કરો:પર્યાવરણ અને સ્વચ્છતા માટે અસ્માવતી ઘાટ પર કુંડ તૈયાર

📅 Published: September 17, 2026 | 📂 Category: gujarati-news

પોરબંદર મહાનગરપાલિકાએ ગણેશ મૂર્તિના વિસર્જન માટે અસ્માવતી ઘાટ પર કૃત્રિમ કુંડ બનાવ્યો છે. પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા માટે લોકોને આ કુંડમાં જ મૂર્તિ વિસર્જન કરવા અપીલ કરાઈ છે. ગણેશ મહોત્સવના પવિત્ર પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ વ્યવસ્થા કરાઈ છે. મહાનગરપાલિકાએ ખારવા સમાજના અગ્રણીઓ અને પોલીસ વિભાગ સાથે મળીને અસ્માવતી ઘાટનું સ્થળ નક્કી કર્યું છે. ગણેશ મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો મૂર્તિઓનું સ્થાપન કરે છે. વિસર્જન સમયે પર્યાવરણની સુરક્ષા, દરિયાની સ્વચ્છતા અને જાહેર વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકાએ શહેરના ગણેશ ભક્તો અને સામાન્ય જનતાને અપીલ કરી છે કે તેઓ મૂર્તિ વિસર્જન માટે અસ્માવતી ઘાટ પર બનાવેલા આ કૃત્રિમ કુંડનો જ ઉપયોગ કરે. કૃત્રિમ કુંડમાં મૂર્તિ વિસર્જન કરવાથી પ્રદૂષણ રોકવામાં મદદ મળશે. સાથે જ દરિયાઈ પર્યાવરણની સુરક્ષામાં પણ બધા સહભાગી બની શકશે. મહાનગરપાલિકાએ ગણેશજીની મૂર્તિ સાથે આવતી પૂજા સામગ્રી, ફૂલહાર, પ્લાસ્ટિક અને અન્ય કચરો જાહેર જગ્યાએ કે દરિયા કિનારે ન નાખવા વિનંતી કરી છે. તેને નક્કી કરેલી જગ્યાએ જ નાખવા જણાવ્યું છે. વિસર્જન સ્થળે મહાનગરપાલિકાના કર્મચારીઓ અને ખારવા સમાજના સ્વયંસેવકો હાજર રહેશે. જેથી ભક્તો સરળતાથી અને વ્યવસ્થિત રીતે મૂર્તિનું વિસર્જન કરી શકે. ગણેશ મહોત્સવની ધાર્મિક ભાવના સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવા પોરબંદર મહાનગરપાલિકાએ શહેરની તમામ જનતાને સહકાર આપવા અપીલ કરી છે. આ રીતે ‘શ્રદ્ધા સાથે સ્વચ્છતા અને પર્યાવરણની સુરક્ષા’ના સંકલ્પને સાકાર કરી શકાશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *