સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલા ઝવેરચંદ મેઘાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પરિસરમાં 80th સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. મંત્રી વાઘેલાએ રાષ્ટ્રનાયકો અને સ્થાનિક સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ-બલિદાનને બિરદાવ્યા
મંત્રી દર્શનાબેન વાઘેલાએ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ અને સરહદના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જિલ્લાના વીરો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, સરદારસિંહ રાણા અને અમૃતલાલ શેઠના યોગદાનને બિરદાવી ચોટીલાનું મેઘાણી મ્યુઝિયમ નવી પેઢી માટે પ્રેરણાકેન્દ્ર હોવાનું જણાવ્યું હતું. ગુજરાત હરિત ઊર્જા અને સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રોમાં અગ્રણી બન્યું હોવાનો મંત્રીનો દાવો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પને દોહરાવતા મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ, હરિત ઊર્જા, સેમિકન્ડક્ટર અને માળખાકીય સુવિધાઓમાં અગ્રણી બન્યું છે. નર્મદા યોજના અને ઢાંકી પમ્પિંગ સ્ટેશન દ્વારા જિલ્લામાં જળક્રાંતિ આવી છે, જેનાથી સ્થાનિક ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. પર્યાવરણ અને કુપોષણમુક્ત સમાજના નિર્માણ સાથે કર્તવ્યપાલન કરવા નવી પેઢીને આહ્વાન
મંત્રીએ આંગણવાડીઓ દ્વારા કુપોષણમુક્ત સમાજ, યુવા કૌશલ્ય વિકાસ, પીએમ આવાસ યોજના તથા ભક્તિવન અને વટેશ્વર વન જેવા પ્રવાસન પ્રકલ્પોની માહિતી આપી હતી. તેમણે નાગરિકોને તિરંગાને હૃદયમાં સ્થાન આપી માત્ર ઉજવણી પૂરતી સીમિત ન રહેતા દરેક કર્તવ્યમાં દેશભક્તિ દર્શાવવા અને નવો ઇતિહાસ રચવા આહ્વાન કર્યું હતું. સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોનું સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ ડેમોન્સ્ટ્રેશન આકર્ષણનું કેન્દ્ર બન્યા
સમારોહમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોને સાલ અને સૂતરની આંટી ઓઢાડી સન્માનિત કરાયા હતા તથા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને સંસ્થાઓનું બહુમાન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગનું લૂંટ ડેમોન્સ્ટ્રેશન, શાળાના બાળકોની સાંસ્કૃતિક કૃતિઓ, મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ અને સરકારી સ્ટોલ્સનું પ્રદર્શન મુખ્ય આકર્ષણ રહ્યા હતા. નાયબ મુખ્ય દંડક, સાંસદ અને કલેક્ટર સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
આ ઉજવણીમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડીયા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, શામજીભાઈ ચૌહાણ, કલેક્ટર જી.એચ. સોલંકી, ડીડીઓ કે.એસ. યાજ્ઞિક, એસપી પ્રેમસુખ ડેલું સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ ચોટીલામાં ધ્વજવંદન કર્યું:સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોનું સન્માન અને વૃક્ષારોપણ કરાયું
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
