ફ્રાન્સમાં સપ્ટેમ્બરમાં ખુલશે પ્રથમ મોટું હિન્દુ મંદિર:પેરિસ નજીક ઉદ્ઘાટન થશે, 13 દિવસ સુધી ચાલશે ભારતીય સંસ્કૃતિ ઉત્સવ

📅 Published: August 23, 2026 | 📂 Category: International

ફ્રાન્સમાં પેરિસ નજીક બુસી-સેન્ટ-જ્યોર્જિસમાં સપ્ટેમ્બર 2026માં BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થશે. તેને ફ્રાન્સનું પ્રથમ મોટું હિન્દુ મંદિર ગણાવવામાં આવી રહ્યું છે. મંદિરના ઉદ્ઘાટન સાથે 2 થી 14 સપ્ટેમ્બર સુધી 13 દિવસનો ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ યોજાશે. જેમાં લોકોને હિન્દુ પરંપરાઓ, ભારતીય કલા, સંગીત અને સંસ્કૃતિ વિશે જાણવાની તક મળશે. આ મંદિર માત્ર પૂજા માટે જ નહીં હોય. અહીં સાંસ્કૃતિક અને સામુદાયિક કાર્યક્રમો પણ યોજાશે. ઉદ્ઘાટનમાં ભારતીય મૂળના લોકો સાથે હિન્દુ સમુદાય અને ભારતીય સંસ્કૃતિમાં રસ ધરાવતા લોકો પહોંચે તેવી અપેક્ષા છે. મંદિર ખુલવાથી ફ્રાન્સમાં રહેતા ભારતીય અને હિન્દુ સમુદાયને પૂજા અને સંસ્કૃતિ સાથે જોડાવા માટે એક મોટું કેન્દ્ર મળશે. ભારતમાં કોતરેલા પથ્થરોથી બનેલું મંદિર પેરિસ નજીક બનેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભારતમાંથી લાવવામાં આવેલા ખાસ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પથ્થરો ભારતમાં લગભગ 1,000 વર્ષ જૂની કોતરણીની ટેક્નીકથી તૈયાર કરવામાં આવ્યા છે. ઘણા ભાગો પર કારીગરોએ હાથથી ઝીણવટભરી કોતરણી કરી છે. ભારતમાં તૈયાર કરાયેલા આ પથ્થરોને ફ્રાન્સ લાવીને મંદિરમાં લગાવવામાં આવ્યા. આ કામમાં ભારતીય કારીગરોની સાથે ફ્રાન્સના નિષ્ણાતો પણ સામેલ હતા. તેમાં નોટ્રે-ડેમ કેથેડ્રલના સમારકામ સાથે સંકળાયેલા કારીગરો પણ હતા. આ રીતે મંદિરમાં ભારતીય શિલ્પકલા અને ફ્રાન્સની આધુનિક નિર્માણ ટેક્નીકનો સંગમ જોવા મળે છે. મંદિરની રચનામાં ગુંબજ, સ્તંભ અને શિખર જેવી પરંપરાગત હિંદુ વાસ્તુકલાનો સમાવેશ થાય છે. 1970માં ફ્રાન્સમાં હિન્દુ મંદિર બનાવવાનો વિચાર આવ્યો હતો BAPS પેરિસની વેબસાઇટ અનુસાર, ફ્રાન્સમાં હિન્દુ મંદિર બનાવવાનો વિચાર 1970માં આવ્યો હતો. તેના લગભગ 25 વર્ષ પછી, 1995માં પેરિસમાં મંદિર બનાવવાની યોજના પર કામ આગળ વધ્યું.2017માં બુસી-સેન્ટ-જ્યોર્જિસમાં મંદિર માટે જમીન મળી. ત્યારબાદ 2021માં નિર્માણ પ્રક્રિયા આગળ વધી. લગભગ 56 વર્ષ પછી હવે 2026માં મંદિર બનીને તૈયાર છે. BAPS એ દુનિયામાં 1,300 થી વધુ મંદિરો બનાવ્યા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS સ્વામિનારાયણ પરંપરા સાથે સંકળાયેલી એક વૈશ્વિક હિન્દુ સંસ્થા છે. તે માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ જ નથી ચલાવતી, પરંતુ શિક્ષણ, સંસ્કૃતિ અને સામાજિક સેવા સાથે પણ જોડાયેલી છે. BAPSના મંદિરો ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને યુરોપના ઘણા દેશોમાં છે. અહીં પૂજા અને ધાર્મિક કાર્યક્રમોની સાથે ભારતીય સંસ્કૃતિ, ભાષા, સંગીત, કલા અને બાળકો સંબંધિત કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે. BAPS મુજબ, વિશ્વભરમાં તેના 1,300 થી વધુ મંદિરો છે અને તેનું નેટવર્ક 50થી વધુ દેશોમાં ફેલાયેલું છે. પેરિસ નજીક બનેલું BAPS સ્વામિનારાયણ મંદિર પણ આ જ વૈશ્વિક નેટવર્કનો એક ભાગ છે. ભારતમાં અક્ષરધામ પણ BAPS દ્વારા બનાવવામાં આવ્યું છે BAPS દ્વારા બનાવવામાં આવેલા સૌથી પ્રખ્યાત મંદિરોમાં દિલ્હીનું સ્વામિનારાયણ અક્ષરધામ પણ સામેલ છે. આ ઉપરાંત ગુજરાતના ગાંધીનગરમાં પણ અક્ષરધામ સંકુલ છે.દિલ્હીનું અક્ષરધામ પરંપરાગત ભારતીય શૈલીમાં બનાવવામાં આવ્યું છે. તેને બનાવવામાં હજારો કારીગરો અને સ્વયંસેવકોએ કામ કર્યું હતું. BAPS અનુસાર, મંદિરને પરંપરાગત વાસ્તુ અને શિલ્પ પરંપરાઓ અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *