શહેર નજીક ગ્રામ્ય વિસ્તારમાં 6 વર્ષીય બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરાનાં લક્ષણો દેખાતાં તંત્ર હરકતમાં આવ્યું છે. આ બાળકીને સારવાર માટે સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાળકીનો રિપોર્ટ સોમવારે આવશે. ઉલ્લેખનીય છે કે, દશરથમાં શંકાસ્પદ કેસ આવતાં આસપાસના વિસ્તારોમાં પણ ફોગિંગ શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા 3 મહિનાથી રાજ્યમાં ચાંદીપુરાના અનેક કેસો આવી ચૂક્યા છે. શહેર નજીક ગ્રામ્ય વિસ્તારમાંથી અગાઉ પણ શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ આવ્યો હતો. દરમિયાન દશરથ વિસ્તારમાંથી ગુરુવારે શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ સામે આવ્યો છે. દશરથમાં 2 મહિનાથી ભાડે રહેતા મારવાડી પરિવારની 6 વર્ષની દીકરીને ચાંદીપુરાનાં લક્ષણો દેખાતાં તેને દશરથ આરોગ્ય કેન્દ્રથી સારવાર માટે સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીનો ચાંદીપુરાનો ટેસ્ટ કરાયો હતો અને તેનાં સેમ્પલ પૂણે મોકલી દેવાયાં છે, જેના રિપોર્ટ સોમવારે આવશે. બીજી બાજુ જિલ્લાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ આવતાં આરોગ્ય તંત્રે બાળકીના ઘરની આસપાસના વિસ્તારમાં ફોગિંગ કર્યું હતું. ઉપરાંત 50થી વધુ ઘરોનો સરવે કરાયો હતો. સ્વાઈન ફ્લૂનો શુક્રવારે એક પણ કેસ ન આવતાં રાહત
હાલમાં શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. સયાજી હૉસ્પિટલમાં સ્વાઈન ફ્લૂનો એક દર્દી હાલમાં સારવાર હેઠળ છે ત્યારે શંકાસ્પદ 2 દર્દી પણ સામે આવ્યા હતા. જોકે તેમના રિપોર્ટ નેગેટિવ આવતાં તેઓને ઘરે મોકલાયા છે. ઉલ્લેખનીય છે કે, સયાજી હૉસ્પિટલમાં સ્વાઈન ફ્લૂને લઈને અલગ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે.
બાળકીનો ટેસ્ટ કરાયા બાદ સેમ્પલ પૂણે મોકલાયાં:દશરથમાં 6 વર્ષીય બાળકીને ચાંદીપુરાનાં શંકાસ્પદ લક્ષણ દેખાતાં SSGમાં ખસેડાઈ
📅 Published: August 29, 2026 |
📂 Category: gujarati-news
