ભરૂચના મનુબર ગામ સ્થિત યુવક મંડળ હાઇસ્કૂલના પટાંગણમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહમાં ભરૂચના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી મનિષા મનાણીએ મુખ્ય મહેમાન તરીકે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદની અને વિદ્યાર્થીઓને સંબોધતા મનિષા મનાણીએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય પર્વ એ દેશ માટે બલિદાન આપનારા વીર શહીદોના ત્યાગ અને બલિદાનને યાદ કરવાનો અવસર છે. તેમણે ઉમેર્યું હતું કે, બાળકો અને યુવાધન દેશનું ભવિષ્ય છે. આવનારી પેઢીએ દેશની પ્રગતિ, સુરક્ષા અને સામાજિક એકતા માટે જાગૃત તથા કર્તવ્યનિષ્ઠ રહેવું જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને દેશ પ્રત્યેની જવાબદારીનું સિંચન કરવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમનું આયોજન ભરૂચ ગ્રામ્યના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન યુવક મંડળ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, પંચાયતના સરપંચ સહિત સભ્યો, વહીવટી તંત્રના અધિકારીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.
ભરૂચના મનુબરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી:પ્રાંત અધિકારીએ ધ્વજવંદન કરી સલામી આપી, દેશભક્તિ ગીતો અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
