ભરૂચમાં શિષ્યવૃત્તિ ન મળતા આદિવાસી વિદ્યાર્થીઓનો રોષ:આદિજાતિ કચેરીએ રજૂઆત, પાછલા વર્ષની સ્કોલરશિપ બાકી

📅 Published: August 31, 2026 | 📂 Category: gujarati-news

ભરૂચ જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મળવાપાત્ર શિષ્યવૃત્તિ સમયસર ન મળતા આદિવાસી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. પાછલા વર્ષની શિષ્યવૃત્તિની રકમ હજુ સુધી બેંક ખાતામાં જમા ન થતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભરૂચ સ્થિત આદિજાતિ વિકાસ કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને ચારથી પાંચ મહિના વીતી ગયા હોવા છતાં પાછલા વર્ષની શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવી નથી. આ ઉપરાંત, સેલ્ફ-ફાઇનાન્સ કોલેજો દ્વારા ફી ભરવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે ફી ભરવી મુશ્કેલ બનતા તેમના અભ્યાસ પર અસર થવાનો ભય છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, આ અંગે અગાઉ જુલાઈ મહિનામાં આદિજાતિ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યાર પછી પણ તેઓ ત્રણથી ચાર વખત કચેરીની મુલાકાત લઈ ચૂક્યા છે, છતાં શિષ્યવૃત્તિની રકમ ખાતામાં જમા થઈ નથી. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, આજે રજૂઆત દરમિયાન કચેરીના અધિકારીઓએ ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ હોવાનું અને આગામી અઠવાડિયામાં શિષ્યવૃત્તિની રકમ બેંક ખાતામાં જમા થઈ જશે તેવી ખાતરી આપી હોવાનું જણાવ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *