માત્ર ત્રણ દિવસમાં બે ભાઈઓએ દુનિયાને અલવિદા કરી:ગોત્રી મેડિકલ કોલેજમાં બંનેનું દેહદાન, મોટાભાઈના મોતનો આઘાત સહન ન કરી શકનાર નાનાભાઈ પણ દમ તોડ્યો

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

લાગણીના પારિવારિક સંબંધો કેટલા અતૂટ અને ગાઢ હોઈ શકે છે તેનો હૃદયસ્પર્શી કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. ડભોઈ તાલુકાના મંડાળા ગામના મૂળ વતની શેઠ મણીલાલ પ્રભુદાસ પટેલના બે વયોવૃદ્ધ સંતાનોએ માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં આ દુનિયાને અલવિદા કહી દીધી છે. સુરત-વડોદરામાં જાણીતા અને સૂરસાગર કિનારે આવેલી સૂરજ હોટેલ શરૂ કરનાર બંને ભાઈઓ મધુભાઈ પટેલ (ઉંમર વર્ષ 90) અને ઠાકોરભાઈ પટેલ (ઉંમર વર્ષ 84) જીવતેજીવ એકબીજાના ટેકારૂપ રહ્યા હતા. તેમના અવસાન બાદ પરિવારે બંને ભાઈઓના દેહનું ગોત્રી મેડિકલ કોલેજમાં દાન કરીને તબીબી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે એક ઉત્તમ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઘરે સાથે ચા-નાસ્તો કરવાનો બંનેનો અતૂટ નિયમ
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, બંને ભાઈઓ અલગ-અલગ વિસ્તારમાં રહેતા હોવા છતાં દાયકાઓથી દરરોજ સવારે મધુભાઈના ઘરે સાથે ચા-નાસ્તો કરવાનો તેમનો અતૂટ નિયમ હતો. પરિવારમાં કોઈને પણ નાની-મોટી મુશ્કેલી હોય તો મધુભાઈ હંમેશાં મદદ માટે અગ્રેસર રહેતા હતા. ગત 20મી તારીખે 90 વર્ષીય મધુભાઈ પટેલની તબિયત લથડતાં તેમનું અવસાન થયું હતું. તેમના પૌત્ર ડૉ.હિરમય પટેલે ગોત્રી મેડિકલ કોલેજમાંથી જ એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યો હોવાથી પરિવારની સંમતિથી મધુભાઈના પવિત્ર દેહનું મેડિકલ કોલેજમાં દાન કરવામાં આવ્યું હતું. મોટાભાઈના મોતનો આઘાત સહન ન કરી નાનાભાઈએ પણ દમ તોડ્યો
મોટાભાઈના દેહાવસાનથી નાનાભાઈ ઠાકોરભાઈ પટેલ ઊંડા આઘાતમાં સરી પડ્યા હતા. શરૂઆતમાં મારાથી આ નહીં જોવાય કહીને તેઓ દેહદાનમાં જતાં અચકાતા હતા, પરંતુ આખરે ભારે હૈયે તેઓ મોટાભાઈની દેહદાન પ્રક્રિયામાં જોડાયા હતા. જોકે, મોટાભાઈના વિયોગનો આઘાત તેઓ લાંબો સમય સહન ન કરી શક્યા અને રવિવારે સવારે અચાનક તેમની તબિયત બગડતાં હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની બંને બહેનો વિદેશથી આવી પહોંચ્યા બાદ મંગળવારે ઠાકોરભાઈ પટેલના પાર્થિવ દેહનું પણ ગોત્રી મેડિકલ કોલેજમાં વિધિવત્ દેહદાન કરવામાં આવ્યું હતું. ત્રણ-ચાર દિવસના અંતરે બે સગા ભાઈઓના દેહનું દાન
આ ઘટના અંગે ગોત્રી મેડિકલ કોલેજના એનાટોમી વિભાગના ડૉ. અજય રાઠવાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં થયેલા ચાર દેહદાનમાં આ પ્રથમ એવી વિરલ ઘટના છે જ્યાં માત્ર ત્રણ-ચાર દિવસના અંતરે બે સગા ભાઈઓના દેહનું દાન મળ્યું હોય. સામાન્ય રીતે મેડિકલ કોલેજમાં દર વર્ષે આઠ જેટલા મૃતદેહની જરૂરિયાત રહેતી હોય છે, જેના પર તબીબી વિદ્યાર્થીઓ બે વર્ષ સુધી માનવ શરીર રચનાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે. આ દેહદાન માત્ર વડોદરા જ નહીં, પરંતુ ગોધરા અને રાજપીપળા મેડિકલ કોલેજના ભાવી તબીબોને પણ શિક્ષણ અને સંશોધનમાં અત્યંત ઉપયોગી સાબિત થશે. 400 જેટલા દેહદાનના સંકલ્પો
અગાઉ અગ્નિસંસ્કાર વિના મોક્ષ ન મળે તેવી સામાજિક ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધાને કારણે દેહદાનનું પ્રમાણ ખૂબ નહિવત્ હતું, પરંતુ હવે જાગૃતિ વધતાં લોકો સ્વૈચ્છિક રીતે સંકલ્પપત્રો ભરી રહ્યા છે. ગોત્રી મેડિકલ કોલેજને અત્યાર સુધીમાં 300થી 400 જેટલા દેહદાનના સંકલ્પો મળ્યા છે. જીવતેજીવ સમાજને મદદરૂપ થવાની ભાવના રાખનાર આ બંને ભાઈઓએ મૃત્યુ પછી પણ પોતાના દેહનું દાન આપીને સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર આવી માનવસેવાનો નવો રાહ ચીંધ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *