હળવદના માનગઢ ગામમાં એક વીજપોલ નીચેથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા. આ સાથે જમીન પણ ગરમ થઈ ગઈ હતી. આ ઘટનાથી ગામ લોકોમાં ભારે આશ્ચર્ય હતું. તંત્રને જાણ કરાતા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટના બુધવારે જલ્પેશભાઈ રતિલાલભાઈ પટેલના ઘર પાસે આવેલા વીજપોલ પાસેથી શરૂ થઈ હતી. તેમણે તાત્કાલિક ગામના તલાટી મંત્રી, મામલતદાર અને અન્ય અધિકારીઓને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતા જ જીપીસીબી અને ભૂસ્તર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બાદમાં મામલતદાર સહિતની ટીમ પણ આવી હતી. આજે બપોર પછી ઈન્ડિયા જીઓ લોજિસ્ટ વિભાગના અધિકારીઓએ પણ તપાસ શરૂ કરી હતી. તપાસના અંતે સામે આવ્યું કે, ધરતીના પેટાળમાં કોઈ સમસ્યા નહોતી. વીજપોલનો અર્થીંગ વાયર મેઈન વાયરને અડી ગયો હતો. જેના કારણે વીજળી જમીનમાં ઉતરતી હતી અને જમીન ગરમ થઈને ધુમાડા નીકળતા હતા. આ માહિતી જલ્પેશભાઈ પટેલે આપી હતી. વીજ કંપનીના અધિકારીઓએ સ્વીકાર્યું કે આ તેમની ટેકનિકલ ખામી અથવા બેદરકારીને કારણે બન્યું હતું. તેમણે વીજપોલ અને વાયર બદલવાની ખાતરી આપી છે. તપાસના અંતે ધરતીના પેટાળમાં કોઈ હિલચાલ ન હોવાનું સામે આવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
માનગઢમાં વીજપોલના નીચેથી ધુમાડા નીકળ્યા:તપાસમાં ખુલ્યું રહસ્ય: ધરતીના પેટાળમાં કંઈ નહીં, વીજ કંપનીના ખામી ભર્યા અર્થિંગ વાયરથી ઘટના બની
📅 Published: September 18, 2026 |
📂 Category: gujarati-news
